કમોસમી વરસાદ અતિવૃષ્ટિથી ખેડુતોને નુકસાનીનુ વળતર ચુકવવાની માંગ
મોરબી : તા.૨૨ થી ૩૦ ઓગષ્ટ ૨૦૨૪ સુધી ગુજરાતમાં અતિવૃષ્ટિ થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકશાન ભોગવવું પડ્યું છે. ભારે વરસાદને કારણે બાગાયત પાક તથા ખેતી પાકને વ્યાપકપણે નુકશાન પહોચ્યું છે. સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારોમાં આ વખતે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યા તો નવરાત્રિની વિદાય બાદ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો છે તો ઓગષ્ટ મહીનામા પડેલ ભારે વરસતાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવ્યો છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર મારફત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરાઈ હતી કે, મોરબી જીલ્લામાં મગફળી-કપાસ થોડો ઘણો બચેલો પાક હતો જે હાલ પડી રહેલ વરસાદના કારણે વ્યાપક નુકસાન થયેલ છે. "કાપણીના સમયે જ માવઠાએ ખેડૂતોના ઘરોમા દિવાળીએ હોળી જેવી હાલત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આ વખતનું ચોમાસું જગતના તાત માટે મુસીબત બની રહ્યુ છે. જુલાઈ દરમિયાન ભારે વરસાદ વરસતાં સરકાર દ્વારા પિયત માટે ફોર્મ ભરવા મૌખિક સૂચના આપવામાં આવી હતી ધોવાણ થયેલ ખેતર નો સર્વે હજુ સુધ્ધી કરેલ નથી આ કૃષિ વિભાગે જાહેરાત કરી હતી કે, ખેતીવાડી વિભાગની ટીમો સર્વે ની કામગીરી કરીને રિપોર્ટ આપશે તે રિપોર્ટ પણ અપાઈ ગયેલ છે. દોઢ મહિનો વીત્યો છતાં અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય મળી નથી તો દિવાળી નો તહેવાર આવતો હોવાથી જો તત્કાલ સહાય પેકેજ જાહેર કરવામા આવે તો ખેડૂતો ના ઘરમાં દિવાળી સુધરી શકે અને રવિ પાક વાવિને પોતાનુ વર્ષ ગુજારી શકે. હાલ બે દિવસથી કમોસમી વરસાદ ઘણા વિસ્તારમાં પડેલ છે. પાક માં હાલ સોયાબીન, મગફળી અડદ, મગ જેવા પાકોમાં સીઝનની શરૂઆત હતી તેવામાં પાછોતરો વરસાદ પડવાને કારણે ખેડુતો પોતાનો પાક સારી રીતે લઇ શક્યા નથી અને સાવ નાશ પામેલ છે તેથી ખેડુતો ને ઘણી મુશ્કેલી ની સાથે આર્થિક સંકટ ઉભુ થયેલ છે. તો આપના દ્રારા લગત વિભાગને યોગ્ય કાર્યવાહી કરવાના જરૂરી આદેશ કરવામાં આવે કે લિલો દુસ્કાળ જાહેર કરી તત્કાલ વળતર આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘની ખાસ રજુઆત છે.