મધ્યાહન ભોજન યોજનાની મહિલા કર્મચારીઓએ સાવેતન સહિતના પડતર પ્રશ્નો અંગે કલેકટર મારફત શિક્ષણ મંત્રીને આવેદન આપ્યુ
મોરબી : ૮ માર્ચ મહિલા દિવસના અનુસંધાને પીએમ પોષણ શક્તિ નિર્માણ (મધ્યાહન ભોજન) યોજના કર્મચારી સંઘ- મોરબી જિલ્લા દ્વારા મહિલા કર્મચારીઓની પીડા અને વેદનાને વાચા આપવા માટે શિક્ષણ મંત્રી રિવાબા આર. જાડેજાને કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન આ સંગઠન દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ૯૬,૦૦૦ કર્મચારીઓ પૈકી અંદાજે ૬૮,૦૦૦ જેટલી મહિલાઓ આ યોજનામાં કાર્યરત છે. જેમાં મોટાભાગની મહિલાઓ વિધવા કે ત્યકતા છે અને તેઓ રસોઈયા તરીકે માનદ સેવા આપે છે. તેમની મુખ્ય માંગણીઓમાં પેન્શન કે આર્થિક સહાય જેવી કે, નિવૃત્તિ બાદ બાકીનું જીવન પસાર કરવા માટે કોઈ પેન્શન કે ગ્રેચ્યુટીની જોગવાઈ ન હોવાથી, નિવૃત્તિ વખતે કોઈ ચોક્કસ લમ્પસમ રકમ કે પેન્શન મળે તેવી અલગથી યોજના બનાવવી.
સવેતન રજાની જોગવાઈમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ (જેવી કે માસિક ધર્મ કે પ્રસૂતિ) ને ધ્યાને રાખીને ખાસ ત્રણ દિવસની સવેતન રજાની જોગવાઈ કરવી, 'ભોજનમાતા' તરીકે ઓળખ આપવી, નવી શિક્ષણ નીતિ અંતર્ગત રસોઈ કામ કરતી મહિલાઓને 'રસોઈયા' ના નામને બદલે માતૃત્વ ભાવ સાથે સન્માનજનક 'ભોજનમાતા' નું નામ આપવું, આ યોજનાની તમામ મહિલાઓને ડ્રેસ કોડ તરીકે વાર્ષિક બે જોડી સાડીની જોગવાઈ કરવી, રસોઈયા બહેનો સતત આગ સાથે કામ કરતી હોવાથી ગેસ કે કુકર ફાટવાના કિસ્સામાં મફત સારવાર અને અઘટિત ઘટનામાં મુખ્યમંત્રી સહાય યોજનામાંથી રૂપિયા ૪ લાખનું વળતર મળે તેવી જોગવાઈ કરવી.