મોરબી : નાણાકીય વર્ષ 2025-26માં પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા અને બાકી લેણાંની વસૂલાત માટે મોરબી મહાનગરપાલિકાએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી વેરો ન ભરતા મિલકત ધારકો સામે તંત્ર દ્વારા ધોંસ વધારવામાં આવી છે. મનપા દ્વારા અગાઉ તમામ બાકીદારોને નોટિસ પાઠવીને ચાલુ વર્ષનો તેમજ ભૂતકાળનો બાકી વેરો ભરપાઈ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં, વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા આસામીઓ સામે વધુ કડક કાર્યવાહી કરતા અલગ અલગ વિસ્તારોમાં આવેલી મિલકત કુલ 8 આસામીઓની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. તેમજ અન્ય 20 મોટા મિલકત ધારકો કે જેમણે હજુ સુધી બાકી રકમ જમા કરાવી નથી, તેમને મિલકત જપ્તીના વોરંટ ફટકારવામાં આવ્યા છે.
મનપાના રેકોર્ડ મુજબ જે મિલકત ધારકોના ટેક્સ લાંબા સમયથી બાકી છે, તેવા 1200 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ દ્વારા તેમને બાકી લેણાં વહેલી તકે ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે. જે મિલકત ધારકો પાસે મોટી રકમ બાકી છે, તેમની મિલકતોની જરૂર પડે હરાજી કે જપ્તી સુધીના પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
નાગરિકો સરળતાથી વેરો ભરી શકે તે માટે મનપા દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઝોન અને ક્લસ્ટર ઓફિસ: શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ક્લસ્ટર ઓફિસો અને ઝોન ઓફિસોમાં ટેક્સ રિકવરી માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. મુખ્ય કચેરી: મનપાની મુખ્ય કચેરી ખાતે પણ ટેક્સ ભરવા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ઓનલાઈન પેમેન્ટ: ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે નાગરિકો ઘરે બેઠા વેરો ભરી શકે તે માટે ઓનલાઈન ટેક્સ ઉઘરાણી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.