મોરબી : મોરબી જિલ્લામાં મહેસૂલી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે કુલ 53 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂકપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કલેક્ટરે નવા કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મહેસૂલી તલાટી તરીકેની કામગીરીમાં પ્રામાણિકતા, નિષ્પક્ષતા અને પારદર્શિતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું ઝડપી, સંવેદનશીલ અને અસરકારક રીતે નિરાકરણ લાવવાની જવાબદારી દરેક મહેસૂલી તલાટીની છે. તેમણે નવનિયુક્ત કર્મયોગીઓને જનહિતને કેન્દ્રમાં રાખીને સેવાભાવ સાથે પોતાની ફરજો નિભાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટરે તમામ 53 મહેસૂલી તલાટીઓને તેમની નવી જવાબદારી માટે અભિનંદન પાઠવતાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.