મોરબી : આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા 7 નવેમ્બરના રોજ મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 30 જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડો. હિરલ જાદવાની, ડો. પ્રતિક દેસાઈ, ડો. ધ્વનિ નિમાવત અને ડો. ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડો. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતું.
દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા.
વિશેષ નોંધનીય બાબત એ હતી કે તમામ ડોક્ટરો દ્વારા લોકોમાં ફિઝીયોથેરાપી શું છે અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને ફિઝીયોથેરાપીની મહત્વતા અંગે માર્ગદર્શન અને આરોગ્ય લાભ મળ્યો હતો. આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.