બાળકો પર માત્ર 90 થી 95 ટકા લાવવા માટે ગોખણપટ્ટી કરાવવાને બદલે પ્રેક્ટિકલ નોલેજ (ભણતર સાથે ગણતર) આપવા પર ભાર મૂકાયો
મોરબી : મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આજે દ્વિતીય વિદ્યારત્ન અભિવાદન સમારોહ (તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ) 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ, રમતગમત અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરીને બિરદાવવામાં આવી હતી. સન્માન સમારોહમાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર તથા રમતગમત ક્ષેત્રે ઝળહળતો દેખાવ કરનાર 70 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા શિક્ષકો તેમજ નિવૃત્ત સરકારી શિક્ષકોનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. આઈઆઈટી જમ્મુ અને બીએએમએસમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું આ તકે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. કારકિર્દીના મહત્વના પડાવ સમાન ધોરણ 10 અને 12 (કોમર્સ અને સાયન્સ) માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખાસ સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું અને તેમને વાજતે-ગાજતે સ્ટેજ સુધી લાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં હનુમાન ચાલીસા સ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આજના સમયમાં ગોખણપટ્ટીના શિક્ષણ પર કટાક્ષ કરતું 'ગોખણપટ્ટી.કોમ' નામનું એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. જાણીતા મોટિવેશનલ સ્પીકર અને બાળરોગ નિષ્ણાત સતીશ પટેલે ઉપસ્થિત વાલીઓને 'પેરેન્ટિંગ' વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના સમયમાં બાળકોને કેવી રીતે ઉછેરવા તે અંગે વાત કરી હતી. તેમણે "ગોખણિયું જ્ઞાન અને પરિણામ તો ટનાટન પરંતુ સ્વીકૃતિ છનાનન" વિષય પર છણાવટ કરી, બાળકોને માત્ર 90 થી 95 ટકા લાવવા પૂરતું ગોખણપટ્ટી કરાવવાને બદલે પ્રેક્ટિકલ નોલેજ આપવા પર ભાર મૂક્યો હતો.