મોરબી : મોરબીમાં આંતકી ઘટનાનો ઠેરઠેર જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મુસ્લિમ સમાજે પણ આ ઘટનાનો વિરોધ કરી આ અમાનવીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ આંતકી ઘટનાના વિરોધમાં આજે સમગ્ર મોરબીએ સજ્જડ બંધ પાળીને રોષપૂર્ણ મૌનરેલી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે આજે બપોરે આંતકી ઘટનાનો વિરોધ કરવા મોરબીનો સમગ્ર મુસ્લિમ સમાજ મેદાને આવ્યો હતો અને જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહ દરગાહ ખાતેથી મુસ્લિમ સમાજે મૌનરેલી કાઢી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજે રેલી કાઢી શહેરના મુખ્યમાર્ગો ઉપર પસાર થઈને સામાકાંઠે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલાના દોષિતોને તાકીદે પકડી સરકાર કડકમાં કડક દાખલારૂપ શિક્ષા અપાવે તેવી માંગ કરી હતી.