મોરબી:– શ્રી ઉત્તરાધિમઠના શ્રી સત્યપ્રમોદ તીર્થ સ્વામીની ૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા ૧૦૮ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ સિક્કો ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ હૈદરાબાદમાં બહાર પાડવામાં આવ્યો હતો.
વિશ્વમાં પહેલી વાર જારી કરાયેલા ૧૦૮ રૂપિયાના સ્મારક સિક્કાનો આ સેટ મોરબીના એડવોકેટ મિતેશ દવે દ્વારા ખરીદવામાં આવ્યો છે, જે સિક્કા એકત્રિત કરે છે. વધુ માં એડવોકેટ મિતેશ દવે એ જણાવ્યું હતું કે આ ૧૦૮ રૂપિયાનો સિક્કો ભારત સરકારના મુંબઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે, અને આ સિક્કો ૪૦ ગ્રામ શુદ્ધ ચાંદીનો બનેલો છે. સત્યપ્રમોદ તીર્થ સ્વામીજીની ૧૦૮મી જન્મજયંતિ ઉપરાંત, સનાતન પરંપરામાં ૧૦૮ નંબરનું પણ વિશેષ મહત્વ છે, તેથી સમગ્ર વિશ્વમાં આ સિક્કાની ભારે માંગ રહેશે. સિક્કા કલેક્ટર્સ ઉપરાંત, દેશ અને વિદેશમાં આ સિક્કાને લઈને ઘણો ઉત્સાહ છે. આ સિક્કો મિતેશને તેના કલેક્ટર મિત્ર સુધીર લુણાવત દ્વારા મોકલવામાં આવ્યો છે.