મોરબી: મોરબી શહેરમાં લખધીરવાસ સ્થિત દરજી જ્ઞાતિની વાડી ખાતે આજે તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ એક ભવ્ય 'જ્ઞાતિ મનોરથ' (સામૂહિક મહાપ્રસાદ) ઉત્સાહભેર યોજાઈ ગયો. આ પુનિત કાર્યક્રમનું આયોજન મધડિયા - સોલંકી પરિવારના ભરતભાઈ કરશનભાઈ સોલંકી તથા મધુમતીબેન ભરતભાઈ સોલંકીના સૌજન્યથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી સમસ્ત દરજી જ્ઞાતિજનોએ ઉમંગપૂર્વક ઉપસ્થિત રહીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટના હોદ્દેદારોનું માર્ગદર્શન તથા યુવા કાર્યકર્તાઓની નિષ્ઠાવાન સેવા પ્રશંસનીય રહી હતી.
આ રૂડા અવસરે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ રાઠોડ, ઉપપ્રમુખ નિયોગભાઈ રાઠોડ સહિતના તમામ ટ્રસ્ટીગણ દ્વારા સેવાભાવી દાતા દંપતી ભરતભાઈ સોલંકી અને મધુમતીબેન સોલંકીને શાલ ઓઢાડી ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજહિત અને જ્ઞાતિના ઉત્થાન માટે સોલંકી પરિવાર દ્વારા કરાતી આવી પ્રેરણારૂપ સેવાઓને બિરદાવી ટ્રસ્ટી મંડળે તેમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.