નવરાત્રીનો નવમો દિવસ (મહા નવમી) ધાર્મિક અને શાસ્ત્રોક્ત દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે
નવમાં નોરતે મા દુર્ગાના નવમા સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
'સિદ્ધિદાત્રી' એટલે સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનાર દેવી. માર્કંડેય પુરાણ અનુસાર, આ દેવી તમામ આઠ પ્રકારની સિદ્ધિઓ (અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ) આપવા માટે સક્ષમ છે.
શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે, મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તને જ્ઞાન, બુદ્ધિ અને અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી જીવનમાં તમામ કાર્યોમાં સફળતા મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શિવે પણ મા સિદ્ધિદાત્રીની પૂજા કરીને આઠેય સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, જેના કારણે તેમનું અડધું શરીર દેવીનું અને અડધું પોતાનું બન્યું અને તેઓ અર્ધનારીશ્વર કહેવાયા.
નવમું નોરતું એ ઉપાસનાની પૂર્ણાહુતિ અને વિજયનું પર્વ છે.
આ દિવસે બે થી દસ વર્ષની ઉંમરની નવ કુમારિકાઓને મા દુર્ગાનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે.
કન્યાઓના પગ ધોઈને તેમને આસન પર બેસાડવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે, અને પછી તેમને હલવો, ચણા અને પૂરીનો ભોજન કરાવવામાં આવે છે.
કન્યાઓને દક્ષિણા કે ઉપહાર (જેમ કે લાલ ચુનરી, બંગડીઓ, શ્રુંગાર સામગ્રી) આપીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે.
નવ કન્યાઓ સાથે એક બાળક ને પણ ભોજન કરાવવામાં આવે છે, જેને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે.
નવરાત્રીના નવ દિવસના વ્રત અને પૂજાની પૂર્ણાહુતિ માટે મહાનવમીના દિવસે પરંપરા અનુસાર હવન કરવામાં આવે છે.
હવનમાં મા દુર્ગાના નવ સ્વરૂપોના મંત્રો સાથે આહુતિ આપવામાં આવે છે.
આ દિવસ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીના વિજયના પ્રતીક રૂપે શક્તિની ઉપાસનાનો દિવસ છે.
સનાતન ધર્મમાં, નવમું નોરતું એ શક્તિની ઉપાસનાનો અને જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ માટે આશીર્વાદ મેળવવાનો મહાપર્વ છે.
ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર ડી.દવે
મહાવીર નગર સોસાયટી
સામાકાંઠે ગજાનન મોરબી -૨
મો.80009 11444