વાંકાનેરના વિઠ્ઠલપર ગામેં પથ્થરાળ જમીનને કારણે ભૂગર્ભ ગટર નાખવી શક્ય જ નથી.પથ્થરાઉ જમીનમાં ભૂગર્ભ ગટરનું કામ થઈ જ શકે એમ નથી. એથી આ ગામ ભૂગર્ભ ગટરની સુવિધા વિહોણું છે. આથી ગામના ગંદા પાણી તેમજ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે. પણ ગ્રામ પંચાયત આ સમસ્યા હલ કરી નાખે છે.
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના સરપંચ રળિયાતબેન જેસીંગભાઇ સાદરીયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું છે અને હાલ આ ગામની વસ્તી 1060 જેટલી હોય અને આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોવા છતાં ગામમાં પિયત માટે કેનાલની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે થઈ ગઈ છે. ગામમાં સારો અને યોગ્ય પ્રમાણમાં વરસાદ પડે ત્યારે ખેતી બાગ બાગ થઈ જાય છે. નહિતર ખેતી વેરાન જેવી દેખાય છે. આરોગ્ય કેન્દ્ર ગામમાં નથી પણ અઠવાડિયામાં એક વખત ડોકટર ગામમાં આવે છે. તેમજ આ ગામમાં હાલ પાણીની કોઈપણ જાતની તકલીફ નથી. એટલે આ ગામને પીવાના પાણીનું મોટું સુખ છે. ગામમાં 1થી 8 ધોરણ સુધીની પ્રાથમિક સ્કૂલ, ગામની અંદરના રોડ રસ્તા 50 ટકા કંપલેટ અને કચરાના નિકાલ માટે વાહન ન હોવાથી જાતે જ ગ્રામ પંચાયત દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે. આ ગામના અંતરીયાળ માર્ગમાં જાબુડિયા, માટેલ, લાકડધાર, પાડધરા એમ આ ચાર માર્ગના રસ્તા કાચા હોય તેની ચોમાસામાં પથારી ફરી જતી હોવાથી હવે પાકા માર્ગ બનાવવાની માંગ કરવામાં આવી છે. જ્યારે સ્મશાન થી ગામ તરફનો રસ્તો પણ કાચો હોય તેને પાકો કરવાની માંગ પેહલી હરોળમાં છે જે ખુબ જ જરૂરી છે.