માળિયા (મિયાણા) તાલુકાના અનેક ખેડૂતોને ચાલુ વર્ષમાં થયેલી અતિવૃષ્ટિની સહાય હજુ સુધી મળી નથી ત્યારે મોટા દહીંસરાના ખેડૂત ભલુભાઈ મિયાત્રાએ તાત્કાલિક ધોરણે ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ચુકવવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, માળિયા તાલુકાના ઘણા ખેડૂતો બહાર ગામ રહેતા હોય અથવા ધંધાર્થે બહારગામ રહેતા હોવાથી ઓનલાઈન ટૂંકી મુદત્તના કારણે સહાય મળવાથી વંચિત રહી ગયા છે. તેથી સરકાર તરફથી ફરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ કરી આ વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવામાં આવે. આ અંગે મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને 2 માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. જેથી સહાય મેળવવામાં બાકી રહી ગયેલા ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરે તે પહેલા સહાય મળી જાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.