ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાનો ખુબ જ મહિમાગાન કરાયો છે. એવું કહેવાય છે કે, ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. ત્યારે હાલ કાળઝાળ ગરમીમાં ગાયો તરસ અને થાકથી પીડાઈ રહી છે ત્યારે સહજ ફાઉન્ડેશન દ્વારા 4500 કિલો તાજા તરબૂચનું વિતરણ કરી અનોખી સેવાનો યજ્ઞ યોજાયો હતો અને ગાય માતાઓને હોંશેહોંશે તરબૂચ ખવડાવીને અન્યોને ગૌસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામના વિવિધ વિસ્તારોમાં, જ્યાં ગાયોની સંખ્યા વધારે છે, ત્યાં ફાઉન્ડેશનના સેવાયોગી સભ્યોએ પ્રેમપૂર્વક ગાયોને તરબૂચ ખવડાવ્યા. કાળઝાળ ગરમીમાં તરસથી અકળાયેલી ગાયોએ જ્યારે રસાળ તરબૂચનો સ્વાદ માણ્યો, ત્યારે તે દ્રશ્ય સજીવ કરુણાની અનુભૂતિ કરાવતું હતું. આ રીતે સેવાયજ્ઞ ચાલવીને સહજ ફાઉન્ડેશને પ્રેમ, સેવા અને કરુણાનું જીવંત ઉદાહરણ પૂરુ પાડ્યું છે.