મોરબીમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા અને ઠેરઠેર મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવના હર્ષભેર વધામણાં
મોરબી : મોરબીમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધર્મોલલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સર્વ હિન્દૂ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયાલાલ કી, ના ગગનભેદી નાદ સાથે મુખ્યમાર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રામાં માનવ સાગર લહેરાયો હતો. આ શોભાયાત્રા દરમિયાન 18 વધુ સ્થળે મટકી ફોડી તેમજ દરેક વિસ્તારોમાં અને ગામેગામ શોભાયાત્રા સાથે મટકી ફોડીને ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્તથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
મોરબીમાં સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત સક્રિય યંગ ઇન્ડિયા ગ્રુપે જન્માષ્ટમીએ કૃષ્ણ ભગવાનના ગેટઅપ ધારણ કરીને ગ્રુપના કાર્યકર્તાઓએ શહેરના જરૂરિયાતમંદ 1500થી વધુ બાળકોને રમકડાં તથા મીઠાઈની ભેટ આપી અને આ ભેટથી બાળકોના ચહેરા પર ખીલી ઉઠેલા સ્મિતે તહેવારની ઉજવણીને સાચા અર્થમાં પાવન બનાવી દીધી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મર્મ માત્ર પોતાના પરિવારમાં મર્યાદિત નથી, પરંતુ બીજાના જીવનમાં આનંદ લાવવો એ જ તહેવારોની સાચી મહત્તા છે. યંગ ઇન્ડિયા ગ્રુપે આ સંદેશને જીવંત કરવા જન્માષ્ટમીની ઉજવણી સમાજના વંચિત વર્ગ સાથે કરીને દરેક તહેવારની ઉજવણીમાં બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ માણીએ એજ તહેવારોની સાચી ઉજવણીનો સમાજને મેસેજ આપ્યો છે તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.
ફોટા રવિ બરાસરા