હળવદ : મોરબી જિલ્લામાં વીજ લાઈન નાખવાના કામમાં વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી છે. તેવામાં હળવદના ઘનશ્યામપુર ગામે વીજલાઈનના કામને લઈને જ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો કે બાદમાં મામલો થાળે પડી ગયો હતો.
હળવદના સાપકડાની સીમમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોની એવી માંગ હતી કે પહેલા નોટિસ સહિતની કાયદેસરની પ્રક્રિયા થાય પછી કામ શરૂ કરવામાં આવે. આવી માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવતા કેટલાક ખેડૂતોની પોલીસે અટકાયત કરી લીધી હતી. જો કે આ અંગે બધા ખેડૂતોને જાણ થતાં ઘનશ્યામપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ગયા હતા. ત્યાં તેઓએ રોડ ઉપર ચક્કાજામ કરીને પોલીસવાન અટકાવી હતી. બાદમાં પોલીસે અટકાયત કરેલા ખેડૂતોને ત્યાં જ છોડી દેતા મામલો થાળે પડ્યો હતો.