મનપાએ રમત ગમત અને સામાજિક- ધાર્મિક પ્રસંગો માટે ઉપયોગમાં લેવાતા સ્થળે શાક માર્કેટ બનાવવાનું જાહેર કરતા ગ્રામજનોનો વિરોધ
મોરબી : મોરબી નજીક આવેલા અને સૌથી વધુ વિકસિત ગામ તરીકે ઓળખાતા રવાપર ગામના પાદરની જગ્યાનો ગ્રામજનો રમત ગમતના મેદાન તરીકે અને સામાજિક, ધાર્મિક પ્રસંગો તરીકે ઉપયોગ કરતા હોવા છતાં મનપાએ એ સ્થળે શાક માર્કેટ બનાવવાના નામે ઉપયોગી સુવિધા ઉપર તરાપ મારી હોવાના એકીસુરે ગ્રામજનોએ મનપાના આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો છે અને તમામ ગ્રામજનોએ કલેકટરને આવેદન આપી શાક માર્કેટ રદ કરી આ જગ્યાને ગ્રામજનોની સુવિધા માટે જ જેમની તેમ યથાવત રાખવાની માંગ કરી જો મનપા આ નિર્ણય રદ નહિ કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
રવાપર ગામના લોકોએ કલેકટરને આવેદન આપતા જણાવ્યું હતું કે, રાજાશાહી વખતે જ રવાપર ગામના તેમના પૂર્વજોને ગામના પાદરની ખરાબાની જગ્યાને રમત ગમત, ધાર્મિક, સામાજિક કાર્યો માટે ફાળવવામાં આવી હતી.આથી વર્ષોથી ગામલોકો આ સ્થળનો રમત ગમતના મેદાન તેમજ ગામના વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે. આ સ્થળ રવાપર ગામની પ્રાથમિક સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રમવા માટેનું એકમાત્ર મેદાન હોય એમાં વિવિધ રમતો અનેક રચનાત્મક પ્રવૃત્તિઓથી ગામના બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે.
પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાનું જાહેર કરીને સમસ્ત ગ્રામજનોની ઉપયોગી સુવિધા છીનવાનો પ્રયાસ કરવામાં આવતા ગ્રામજનોએ મનપાના આ નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જો અહીં શાક માર્કેટ બનશે તો સડેલા શાકભાજી જ્યાં ત્યાં ફેંકવાથી ગંદકી ફેલાશે અને બાળકોનું રમત ગમતનું મેદાન તેમજ ગ્રામજનોના ધાર્મિક, સામાજિક કાર્યોની સુવિધા બચશે જ નહીં તેવી ભીતિ વ્યક્ત કરી જો મનપા અહીં શાક માર્કેટ બનાવાનો નિર્ણય રદ નહિ કરે તો આગામી દિવસોમાં કાયદાકીય રાહે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.