Saturday - Jul 11, 2026

ચક્કાજામ કરનાર લોકોની માનવતા : ટ્રાફિકમાં ફસાયેલી સ્કૂલ બસના બાળકોને નાસ્તો આપ્યો

ચક્કાજામ કરનાર લોકોની માનવતા : ટ્રાફિકમાં ફસાયેલી સ્કૂલ બસના બાળકોને નાસ્તો આપ્યો

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની  બહુ જ ખરાબ હાલતને કારણે શનાળા રોડ ઉપર સ્થાનિક સોસાયટીના મોટી સંખ્યામાં રહીશોએ કરેલા ચક્કાજામને પગલે વાહન વ્યહવાર ખોરવાયો છે. જેથી શનાળા રોડ ઉપર અંદાજે ત્રણ કિમી લાંબો ટ્રાફિક જામ થતા વાહન વ્યહવાર અને કાયદો અને વ્યવસ્થા જાળવવા એ ડિવિઝન પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ખડકી દીધો છે. જ્યારે ટ્રાફિકજામમાં ફસાયેલી સ્કૂલ બસના બાળકોને ચક્કાજામ કરનાર લોકોએ નાસ્તો કરાવી માનવતા દર્શાવી હતી.

મોરબીના કન્યા છાત્રાલય રોડની ખરાબ હાલતને કારણે સ્થાનિકોએ આજ રોજ સાંજે 5:00 વાગ્યાથી શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો છે. સ્થાનિકો અહીં રોડ ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી ધારાસભ્ય તથા મ્યુનિસિપલ કમિશનર આવી રોડનું કામ શરૂ નહીં કરાવે, ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં તેવું એલાન આપી દીધું છે. સ્થાનિકો પોતાની માંગને લઈને મક્કમ દેખાય રહ્યા છે તો બીજી તરફ અહીં ત્રણ કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

બનાવની ગંભીરતા ધ્યાને લઈ એ ડિવિઝન અને બી ડિવિઝન પીઆઇ, છ પીએસઆઇ અને 40 થી વધુનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામને કારણે ત્રણ કિમી સુધી વાહનોની લાંબી કતારો જામી છે. તેવામાં અનેક વાહન ચાલકો અહીં ફસાતા અકળાઈ ઉઠ્યા છે. આ દરમિયાન એક બસ ટ્રાફિક જામમાં ફસાઈ છે. જેમાં બાળકો હોય, આ દરમિયાન ચક્કાજામ કરનાર લોકોએ બાળકોને નાસ્તાના પેકેટ આપી માનવતા દેખાડી હતી.