મોરબી, તા. 30 એપ્રિલ 2026:
ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર અને ડાયરા સમ્રાટ શ્રી માયાભાઈ આહિરનું મોરબી ન્યુમિસમેટિક ક્લબના પ્રમુખ અને મોરબી ન્યુમિસમેટિક હેરિટેજ મ્યુઝિયમના સંસ્થાપક એડવોકેટ મિતેષ દવે અને એડવોકેટ દર્શનભાઈ દવે દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું.
તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન એડવોકેટ મિતેષ દવે અને એડવોકેટ દર્શન દવેએ માયાભાઈ આહિર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે દવેએ માયાભાઈને તેમની જન્મતારીખ દર્શાવતી અનોખી "બર્થડે કરન્સી" ની સ્મૃતિભેટ અર્પણ કરી હતી. આ ફ્રેમને કલાત્મક રીતે સજાવવામાં આવી છે.
મુલાકાત દરમિયાન એડવોકેટ મિતેષ દવેએ માયાભાઈને મોરબીમાં આકાર લઈ રહેલા "મોરબી ન્યુમિસમેટિક હેરિટેજ મ્યુઝિયમ" પ્રોજેક્ટની વિગતવાર માહિતી આપી હતી. આ મ્યુઝિયમમાં 25 વર્ષથી સંગ્રહ કરાયેલા દુર્લભ ભારતીય સિક્કા, ચલણી નોટો અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે.
માયાભાઈ આહિરે આ સમગ્ર પ્રોજેક્ટને બિરદાવ્યો હતો અને મોરબીની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવાના આ પ્રયાસને "ગુજરાતનું ગૌરવ" ગણાવ્યું હતું. તેઓએ નિર્માણ થાય ત્યારે મ્યુઝિયમની મુલાકાત લેવાની અને પોતાના તરફથી બનતો તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
એડવોકેટ મિતેષ દવેએ જણાવ્યું હતું કે, "માયાભાઈ જેવા ગુજરાતના ગૌરવવંતા કલાકારના આશીર્વાદ મળવા એ અમારા માટે સૌભાગ્યની વાત છે. તેમના પ્રોત્સાહનથી મોરબીના આ મ્યુઝિયમ પ્રોજેક્ટને નવી દિશા અને ઊર્જા મળશે. અમારો પ્રયાસ છે કે આ મ્યુઝિયમ માત્ર મોરબીનું નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કરે."
ઉલ્લેખનીય છે કે મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા હેરિટેજ મ્યુઝિયમનો પ્રોજેક્ટ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેને આકાર આપવાની કામગીરી શરૂ થશે.