મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોમાં પાંચેક દિબ્સથી સતત ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર થયો હતો અને આજે ઉઘાડ નીકળવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ઘણા ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાય હતા. હમણાં બે દિવસથી વરસાદ રહી ગયો હોવા છતાં ઠેરઠેર પાણી ભરેલા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મેઘરાજાએ સતત પાંચ દિવસથી મયુરનગરીને ધમરોળી નાખી હતી.જેના કારણે હવે મેઘ વીરામ થવા છતાં પણ પાણી ઓસર્યા નથી. પાણીનો ક્યાંય નિકાલ જ ન હોવાથી પાણી હજુ ભરેલા છે. પાણીનો નિકાલ માટેની ગટરો અને વોકળા ચોકઅપ થઈ જવાથી પાણી ભરેલા રહ્યા છે જેમાં અનેક વિસ્તારો જળમગ્ન છે. ખાસ કરીને મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટીથી કન્યા છાત્રાલય રોડ, સરદાર બાગ, પુજારા ટેલીકોમ રોડ ઉપર તેમજ નવા હાઉસિંગ બોર્ડ, માધાપર વિસ્તાર, મહેન્દ્રપરા, વજેપર, માધાપર, વિસ્તારમાં પાણી ભરેલા છે. ગાંધીચોકમાં પાણી ભરવાની સાથે મસમોટા ખાડાઓ પડી ગયા છે.તેમજ મુખ્ય બજાર વિસ્તાર તખ્તસિંહજી રોડ ઉપર પાણીનો નિકાલ ન હોવાથી વેપારીઓએ છ દિવસથી ધધા રોજગાર બંધ હોવાનો બળાપો ઠાલવ્યો હતો.સાથેસાથે અયોધ્યાપુરી રોડ,શનાળા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરવાના કારણે રોડનું ધોવાણ થયું છે અને આ રસ્તાઓમાં ઠેરઠેર ફૂટ ફૂટ કરતાંય વધુ ગાબડા પડી ગયા છે. આ ઉપરાંત મોરબીના સાંમાકાંઠે ત્રાજપર, રિલીફનગર, રોટરીનગર, અરૂણોદયનગર, જન કલ્યાણ નગર, વિધુત સોસાયટી, સોઓરડી સાહિતના વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાવાની સાથે ખાડાઓ પડી ગયા છે. જ્યારે શહેરની આર્થિક કરોડરજ્જુ લાતીપ્લોટ પાણીમાં ગરકાવ થતા લઘુ ઉધોગકારોની હાલત માઠી થઈ ગઈ છે. ભારે વરસદથી માર્ગો ઉપર પાણી ભરાતા અને ખાડાઓ પડવાથી તંત્રની આબરૂનું ધોવાણ થયું છે.