Thursday - Jul 02, 2026

મોરબીમાં સાયબર ફ્રોડના રૂ.38.42 લાખ સગેવગે કરવાના આરોપસર વધુ ચાર સામે ગુનો દાખલ

મોરબીમાં સાયબર ફ્રોડના રૂ.38.42 લાખ સગેવગે કરવાના આરોપસર વધુ ચાર સામે ગુનો દાખલ

મોરબી : દેશભરમાં નિર્દોષ લોકોને છેતરનાર સાયબર માફિયાઓ દ્વારા આવા લોકો પાસેથી ઠગાઈથી મેળવેલા નાણાં મ્યુલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી બાદમાં એજન્ટો મારફતે આ નાણાં સમેટી લેવાના ખેલમાં હાલમાં રાજ્યવ્યાપી ઝુંબેશરૂપે કાર્યવાહી ચાલી રહી છે.મોરબી જિલ્લામાં પણ 150 જેટલા આરોપીઓ સાયબર માફિયાઓના એજન્ટ બની બાદમાં લોકોને કમિશનની લાલચે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી આવા નાણાં સગેવગે કરવામાં સંડોવાયેલ હોવાનું લિસ્ટ સામે આવતા સાયબર ક્રાઈમ પોલીસે બેન્ક એકાઉન્ટની વિગતોને આધારે આવા મ્યુલ એકાઉન્ટ ધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે. જે અન્વયે રૂ.38.42 લાખ સગેવગે કરનાર વધુ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો દાખલ કર્યો હતો.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી અને ગાંધીનગર સાયબર ક્રાઈમ સેન્ટરે મોકલાવેલ યાદીના આધારે આરોપી જયદિપપુરી કિશોરપુરી ગોસ્વામી, રહે.સીરામીક સીટી, અવધ પેલેસ, મોરબી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઇ રૂંજા રહે.બોરીચા વાસ, મોરબી હાલ રહે.ધર્મસૃષ્ટ્રી સોસાયટી, શનાાળા બાયપાસ, મોરબી, ભરતભાઇ પરમાર રહે.ધુનડા(સજજનપર) તા.ટંકારા અને અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા રહે.મોરબી વિરુદ્ધ સાયબર માફિયાઓના ઠગાઈના રૂ.38,42,650 ભાડાના બેન્ક એકાઉન્ટમાં જમાં કરવામાં આવ્યા બાદ એટીએમ અને ચેકથી ઉપાડી લઈ બાદમાં આંગડિયા મારફતે સગેવગે કરવા મામલે ગુન્હો દાખલ કર્યો હતો.પોલીસની તપાસમાં આરોપી જયદીપ ગૌસ્વામી સાયબર માફિયાઓનો એજન્ટ બની અન્ય આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી ઉપાડી સગેવગે કરવાની મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું હતું.