મસાલા માર્કેટમાંથી 10 જેટલા મસાલાના નમૂના લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરાયો
મોરબી : મોરબીમાં હોટલો, રેસ્ટોરન્ટ, ચાઈનઝ, પંજાબી સહિતના જંકફૂડ અને ચટપટી વાનગીના નાસ્તાની દુકાનોમાં શુદ્ધત્તાના નામેં ભેળસેળ યુક્ત અને વાસી ખોરાક લોકોના પેટમાં પધરાવીને આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મનપાની ફૂડ શાખા માત્ર હાજરી પુરાવતી હોય તેવી કામગીરી વચ્ચે આજે ફૂડ શાખાએ આળસ ખંખેરીને જન આરોગ્ય સાથે ચેડાં કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેવી ગાંઠ વાળી હોય એમ એકીસાથે ફુડ શાખા ખાદ્યપદાર્થના 51 વિક્રેતા પર ત્રાટકી હતી અને વાસી નુડલ્સ, ગ્રેવિ, કલરનો સહિતનો ખાઈ ન શકાય એવો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.
મોરબીમાં કહેવાતી વૈભવી હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની મોટાભાગની દુકાનોમાં જન આરોગ્ય સાથે ચેડા થાય તેવા ભેળસેળયુક્ત આહાર અને વાસી ખોરાક ગ્રાહકોને પીરસાતો હોવાથી લાંબા સમયની ફરિયાદ બાદ હવે અચાનક મનપાની ફૂડ શાખા હરકતમાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબીના વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની સઘન ચકાસણી કરવામાં આવી હતી.જે દરમિયાન લાઇસન્સ અંગે સ્વછતા અંગે અને અખાધ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ ફટકારી હતી. જો કે હાલ ઉનાળામાં મસાલા મરચું,હળદર,જીરુંની ભરપૂર પ્રમાણમાં ગૃહિણીઓ ખરીદી કરતી હોય પણ આ મસાલા હકીકત ભેળસેળયુક્ત હોય જેની તેઓને ખબર ન હોવાથી તેમના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદ મળતા ફૂડ શાખાએ આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર આવેલા મસાલા માર્કેટમાંથી આશરે 10 જેટલા મસાલા જેવા કે મરચું,હળદર,જીરુંના નમૂના લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીતે 51 ખાદ્યપદાર્થમાં ચેકિંગ બાદ પટેલ રાજા પાઉભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવિ, વિશ્વા સ્વીટ & નમકીનમાંથી ફૂડ કલર, ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથાબંધ ફૂડ કલર અને ખરાબ થયેલી રબડીનો નાશ કરાયો હતો.