ઘરના સભ્યો કામે ગયા હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી, પડોશીઓએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
મોરબી : મોરબીના હળવદ રોડ પર આવેલી ઘૂંટુ રામકો વિલેજ સોસાયટીમાં કોઈ કારણોસર એક મકાનમાં શોર્ટ સર્કિટથી ભયજનક આગ લાગી હતી. જોકે, બનાવ સમયે ઘરના સભ્યો હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને પડોશીઓએ જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી.
હળવદ રોડ પાસે આવેલી ઘૂંટુ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા સંજયભાઈ કનુભાઈ મુંજરીયાના મકાનમાં તારીખ 19/04/2026 ના રોજ સવારે 10.30 કલાકની આસપાસ કોઈ કારણોસર અચાનક આગ લાગી. આગ લાગી તે સમયે ઘરના તમામ સભ્યો પોતાના કામે ગયા હોવાથી ઘરમાં કોઈ હાજર ન હતું, જેથી મોટી જાનહાનિ થતા અટકી હતી. આસપાસના રહીશોને આગ લાગી હોવાની જાણ થતાં જ તેઓ તુરંત દોડી આવ્યા હતા અને સતર્કતા વાપરીને આગને ઓલવવા માટે ડોલ વડે પાણી છાંટીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ પડોશીઓ દ્વારા ઘરના સભ્યોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.