Saturday - May 18, 2024

વાંકાનેરના દીઘલિયા ગામે સગીર પુત્રીના પરણિત કૌટુંબિક સગા સાથે પ્રેમ સંબંધને લઈને સગીરાના માતાપિતા સહિત ત્રણએ ખૂની ખેલ ખેલ્યો હોવાનો ભાંડો ફૂટ્યો

વાંકાનેરના દીઘલિયા ગામે સગીર પુત્રીના પરણિત કૌટુંબિક સગા સાથે પ્રેમ સંબંધને લઈને  સગીરાના માતાપિતા સહિત ત્રણએ ખૂની ખેલ ખેલ્યો હોવાનો ભાંડો ફૂટ્યો

 વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે સગીરા યુવાની તરફ ડગ માંડવાના પ્રયાસની કાચી ઉંમરમાં  વિજાતીય આકર્ષણને પ્રેમ સમજી તેના પરણિત કૌટુંબિક સગા સાથે પ્રેમ સંબંધ બધાય જતા અને સગીરા હવે એ પ્રેમ સબંધને સર્વસ્વ માનીને બેસી જતા સામેના પાત્રના પણ ઘર સંસારમાં આગ લાગતા આ અતિ નાજુક પરિસ્થિતિમાં માતા – પિતા અને બહેને સાથે મળી પ્રેમાંધ બનેલી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્યા કરી નાખ્યા બાદ જાણે કઈ જ બન્યું ન હોય તેમ દીકરીને હાર્ટએટેક આવ્યાનું જાહેર  કરતા પોલીસની તપાસમાં હત્યાનું ખુલ્યું હતું.

વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની 16 વર્ષની સગીર વયની પુત્રીનું ગત તા.26ના રોજ શંકાસ્પદ રીતે મૃત્યુ થતા ઘરમાં બધા પરિવારજનોએ રોકકળ કરી મુકતા આડોશ પાડોશના લોકો તેમના ઘરે દોડી જતા આ સગીરાનું હાર્ટ એટેકથી મોત થયાનું તારણ નીકળ્યું હતું. પણ પોલીસને આ વાત ગળે ઉતરતી ન હતી. આથી આ સગીરાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખસેડ્યો હતો.

બીજી તરફ પોલીસ આવવાની સાથે જ મૃતકના પિતા ઊંડો નિસાસો નાખીને પસ્તાવાની આગમાં વટાણાં વેરી નાખ્યા હતા અને દિનેશભાઇ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી મહેશભાઈએ કબૂલાત કરી હતી કે, તેમના પરિવારથી હિમાલય જેવડી મોટી  ભૂલ થઇ ગઈ હોય એમ અમે જ અમારી પુત્રીનું ગળું ધોટી ક્રૂર હત્યા કરી નાખી છે.

પ્રેમ સંબંધ મામલે સગીરાને કૌટુંબિક સગા એવા દિનેશભાઇ ગૌરીદાસભાઈ ગોંડલિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મૃતકના પિતા મહેશભાઈ રવિરામભાઇ ગોંડલીયા, માતા સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને બહેન હિરલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો હું તો વાત કરીશ જ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સગીરાને તેની મોટી બહેનના નણદોયા રાહુલ મુકેશભાઈ કાપડી સાથે પ્રેમ સંબંધ હોય જેથી માતા, પિતા અને બહેને સમજાવવા છતાં સગીરા માનતી ન હોય અને ફોનમાં રાહુલ સાથે વાતચીત કરતી હોવાની સાથે માતાપિતાને અને બહેનને કહ્યું હતું કે, તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો હું તો વાત કરીશ, જેથી મૃતકના માતાપિતા અને બહેને રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાનો ડૂમો દઈ ત્રણેય જણે સાથે મળી મોતને ઘાટ ઉતારી કોઈને શંકા ન જાય તે માટે હાર્ટએટેક આવ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક સગાને શંકા જતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને હાલમાં રિંકલના માતા, પિતા અને બહેન વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ શંકાસ્પદ લાગતા જુદાજુદા પાસાની પોલીસે તપાસ કરી

જો કે મૃતકના કૌટુંબિક સગાને બનાવ શંકાસ્પદ લાગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મૃતક સગીરાને માતપિતાએ તેના બામણબોર ખાતે રહેતા પ્રેમી સાથે ફોનમાં વાત કરવાની ના પાડી હોવા છતાં દીકરી વાત કરતી હોવાથી માતાપિતાએ અને દીકરીએ મળી સગીરાની હત્યા કર્યાનું ખુલતા હાલમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.