મોરબી : શહેરીજીવન કરતા ગ્રામીણ જીવન હમેશા બહેતર રહ્યું છે. કારણ કે, શહેરોમાં શોરબકોર, વાહનો અને ફેકટરીઓના પ્રદુષણ અને ભાગદોડભરી રોજિંદી ઘટમાળ તેમજ ગંદકીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય ઘટી રહ્યું છે. પણ ઘણા ગામડાઓ હજુ પણ એકદમ શુદ્ધ વાતાવરણ જળવાયેલું છે. જેના કારણે સુવિધાઓનો અભાવ છતાં ગામલોકો મસ્ત મોલાનાની જેમ જીવી જાણે છે. આવું જ એક ગામ છે, મોરબીનું બાદનપર ગામ.આ ગામમાં સુવિધાઓની થોડી ઘણી ખામીઓ છે પણ ખેતી સમૃદ્ધ હોવાને કારણે ગામલોકો એકીસુરે કહે છે કે, ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ નહિ.
મોરબીના ખાનપર અને આમરણની વચ્ચે આવેલા બાદનપર ગામની ખાસિયત વિશે ગ્રામજનો કહે છે કે, અમે ભલે ઓછું ભણેલા રહ્યા પણ ગણેલા વધુ છીએ. એટલે કેવી રીતે જીવવું એનું અમને પૂરેપૂરું જ્ઞાન છે. એટલે અમારા ગામમાં શિક્ષણ સહિતની સુવિધાઓ ન હોવી તે બાબતે નાહકનો જીવ બાળતાં નથી. જો કે તમામ પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે, કારણ કે આવનારી નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એ સુવિધાઓ ખૂબ જરૂરી છે. આમ તો અમારૂ ગામ 150 વર્ષ પહેલાંનું છે. 1250 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં હજુ પણ માત્ર 30 ટકા જ શિક્ષિત વર્ગ છે. હવે ટેકનોલોજીના યુગમાં શિક્ષિત હોવું જરૂરી હોવાથી ગ્રામજનો શિક્ષણનું મહત્વ સમજીને તેમના બાળકોને ઉત્તમ શિક્ષણ આપે છે. ગામમાં ભવ્ય રામજી મંદિર, પ્રા. શાળા, સારા રોડ રસ્તા, ગટર, ઘરેઘરે શૌચાલય નિયમિત સફાઈ સહિતની ઘણી ખરી મૂળભૂત સુવિધાઓ છે. જો કે ગામલોકોને થોડો પાણીનો પ્રશ્ન પજવી રહ્યો છે. તેમજ આંગણવાડી તૂટેલી છે. મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ખેતી સારી હોવાથી ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચું છે.ભણતર ઓછું હોય પણ પેઢી દર પેઢી વડીલોના સંસ્કારો અને આદર્શ જીવન જીવવાની ખૂબી વારસામાં જ મળી હોવાથી યોગ્ય સમજણને કારણે મનભેદની વાત બાજુએ રહી પણ ક્યારેય મતભેદ પણ થતા નથી.