મહાનગરપાલિકા દ્વારા શુક્રવારની ગેરકાયદે બાંધકામ હટાવ ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી
મોરબી મહાપાલિકાએ આજે શુક્રવારની ગેરકાયદે બાંધકામ હટાવ ઝુંબેશ અંતર્ગત નવલખી રોડનો વારો લીધો છે. જેમાં 29 જેટલા મકાનો તોડવામાં આવ્યા છે. આ માટે ત્રણ જેટલા જેસીબી કામે લગાડીને તમામ ગેરકાયદે દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.
મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે દર શુક્રવારે પણ ગેરકાયદે બાંધકામ હટાવ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરથી આગળના રોડ ઉપર ગેરકાયદે બાંધકામ ઉપર તવાઈ બોલાવામાં આવી હતી. આજની ઝુંબેશ માટે સવારથી ત્રણ જેસીબી કામે લગાવામાં આવ્યા હતા. 29 જેટલા મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ રોડ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો હતો. જે મહાપાલિકાને સોંપાતા વેત જ મહાપાલિકા દ્વારા અહીં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ મામલે ટીપી શાખાના અધિકારીએ જણાવ્યુ કે આ રોડ 80 ફૂટનો હતો. રોડના માર્જિન અને વોકળા પાસે જે ગેરકાયદે બાંધકામ થયા હતા તેવા 29 મકાનોને અગાઉ નોટિસ આપી હતી. ત્યારબાદ સુનાવણી પણ કરી હતી. ત્યારબાદ તેને જાતે જ દબાણ હટાવવા સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.