મોરબી : મોરબીના શકત શનાળા ગામે આવેલા ખેતરમાં ખેડૂતને જાણ કર્યા વગર ટીસી નખાતા પાકને નુકશાની થયાની ફરિયાદ સાથે ખેડૂતે પીજીવીસીએલના ડે. એન્જિનિયરને રજુઆત કરી પાકને થયેલી નુકશાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે.
મોરબીના શકત શનાળા ગામના ખેડૂત ત્રિભોવનભાઈ ગણેશભાઈ બાવરવાએ શકત શનાળાના પીજીવીસીએલના ડે. એન્જિનિયરને રજુઆત કરી હતી કે, શનાળા ગામે સર્વે નંબર 251 પૈકી 1 પૈકી 1 તથા 251 પૈકી 1 પૈકી 2.માં પીજીવીસીએલ દ્વારા મહાકુંભ ફીડર લાઇન નાખવામાં આવી છે.જેનું ટીસી તેમની માલિકીના ખેતરમાં આવે છે. જેથી ચાલુ વરસાદે આ ટીસીથી પાકમાં નુકશાની થઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ટીસી તેમની જાણ વગર તેમના ખેતરમાં નાખ્યું છે. આ ટીસીમાંથી તેઓ કોઈ કનેક્શન ધરાવતા નથી. અન્ય બીજા કોઈ કનેક્શન ધરાવતા હોય તો તેના માટે આ ટીસીને અન્યત્ર ખસેડી તેમને પાકમાં થયેલી નુકશાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે.