મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરને કારણે બીમારીઓ વધુ ફેલાય રહી હોવા છતાં મનપા કોઈ કામગીરી ન કરતા અંતે આજે આ વિસ્તારની મહિલાઓ સહિતના લોકોએ રવાપર રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો અને જ્યાં સુધી કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી ચક્કાજામ નહિ હટાવવાનો નિર્ણય જાહેર કરીને મનપા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. ભૂગર્ભ ગટરની ગંદકી શેરીમાં ફરી વળવાની સાથે ઘરના ફળિયામાં અને ટોયલેટ તેમજ બાથરૂમમાં પણ ગટરની ગંદકી ઉભરાઈ રહી છે. તેથી રોજબરોજની જીવનશૈલી પર વિપરીત અસર પડે છે. ગટરની ગંદકી શેરીમાં ફેલાય રહી હોવાથી લીલો શેવાળ જામી ગયો છે. શેરી અને ઘરોમાં ગટરની ગંદકી ઘુસી જવાથી મચ્છરોનો ફેલાવો વધતા લોકો બીમાર પડી રહ્યા છે. આથી આ મામલે લોકોએ અનેક વખત મનપા તંત્રને રજુઆત કરી હતી. તેમજ રૂબરૂમાં પણ અનેક વખત રજુઆત કરી હતી. જો કે હમણાં જ જન આંદોલન પછી મનપાએ સમસ્યાઓ ઉકેલવા અધિકારીઓ અને કર્મચારીઓની જાહેર કરેલી ફોનની યાદીમાં પણ અનેક વખત રજુઆત કરવા છતાં તંત્રએ દાદ ન દેતા આજે ચક્કાજામ કરવો પડ્યો હતો અને તંત્ર જ્યાં સુધી ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ નહિ કરે ત્યાં સુધી ચક્કાજામ નહિ હટાવવાનું જણાવતા અંતે પોલીસ કાફલો દોડી ગયો હતો તેમજ મનપાના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી જઈને ગટરની સફાઈની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.