મોરબી : "ખુશીઓ ત્યારે સાચી બને છે, જ્યારે તે બીજાઓ સાથે વહેંચાય… સેવા ત્યારે મહાન બને છે, જ્યારે તે નિ:સ્વાર્થ ભાવથી કરવામાં આવે." આવી જ નેમ સાથે અગ્રણી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબીના સદસ્ય પ્રફુલ્લાબેન સોનીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પ્રફુલ્લાબેનએ પોતાના જન્મદિવસ નિમિત્તે અંદાજે 200 થી 250 અભાવગ્રસ્ત લોકો સાથે ખુશીઓ વહેંચી હતી. આ પ્રસંગે સૌ સાથે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભજીયા, છાસ અને કેકનું વિતરણ કરીને તેમને આનંદ આપ્યો હતો. આ સેવા કાર્યમાં મુસ્કાન વેલફેર સોસાયટીના અન્ય સભ્યો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો. આવા સેવા કાર્ય દ્વારા સમાજમાં સહાનુભૂતિ, એકતા અને માનવતાનો સુંદર સંદેશ ફેલાયો હતો. આ પ્રસંગે સૌએ પ્રફુલ્લાબેન સોનીના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી અને તેમના આયુષ્ય, આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.