વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરેલા આહ્વાન "વસુધૈવ કુટુંબકમ માટે યોગ" ને જીલી ને આજરોજ તા. ૨૧-૦૬-૨૦૨૩ "૯ માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ" નિમિતે મોરબી તાલુકાનાં રંગપર ગામે અમૃત સરોવર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ થકી જીવન તંદુરસ્ત અને ઉન્નત બને તેવી નેમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી. જેની સાથે સમગ્ર ભારત અને ગુજરાતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી અન્વયે કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયતની ટીમ દ્વારા રંગપર ગામે અમૃત સરોવરના કાંઠે કુદરતી વાતાવરણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશના તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ/નવીનીકરણ કરવા માટે મિશન અમૃત સરોવરની શરૂઆત કરવામાં આવી છે. મિશન અમૃત સરોવરનો મુખ્ય હેતુ સરોવરોની સંગ્રહ ક્ષમતા વધારી વધુ પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ થાય જેથી પાણીની અછત ન ઉભી થાય એવો છે. ઉપરાંત લોક ભાગીદારીથી સરોવરની આસપાસ સુશોભનના કામો પણ કરવામાં આવે છે જેથી ગામ લોકો માટે એક નવી અસ્ક્યામત ઉભી થાય જ્યાં રાષ્ટ્રીય પર્વોની સાથે અન્ય નાના મોટા પર્વોની ઉજવણી કરી શકાય. સરકારનો આ હેતુ સાર્થક થઈ રહ્યો છે, જ્યાં રંગપર સહિત દેશમાં અનેક જગ્યાઓએ અમૃત સરોવરના કાંઠે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા, મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલ ઇજનેર એ.એન. ચૌધરી, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પ્રવીણભાઈ અંબારિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, રંગપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી મેઘરાજસિંહ ઝાલા તથા ગ્રામજનો, મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત પંચાયતના અધિકારી, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.