૯ માં વિશ્વ યોગ દિવસ અન્વયે મોરબી જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.મોરબીમાં ૭૨ હજાર યોગ સાધકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ' થીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર મોરબીમાં ૭૨ હજાર લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગને જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીશ ધનખડ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.