ડ્રાઇવર ગાડી મૂકીને ભાગી જતા ગૌરક્ષકોએ આઇસરમાં કતલખાને ધકેલાતા 70 પશુઓને બચાવ્યા
મોરબી : કચ્છથી અબોલ પશુઓને આઇસરમાં ભરીને કતલના ઇરાદે જામનગર તરફ જઈ જવામાં આવનાર હોવાની બાતમીના આધારે આજે વહેલી સવારે મોરબી અને રાજકોટના ગૌરક્ષકોની ટીમે મોરબી બાયપાસ નજીક વોચ ગોઠવી હતી. પણ આઇસરના ચાલકે આ ટીમને જોઈને ગાડીને પુરપાટ ઝડપે ભગાડી મૂકી હતી. આથી ગૌરક્ષકોનો ટીમે પીછો કરતા આઇસર ચાલકે આઈસરને ગૌરક્ષકો માથે ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દિલધડક દ્રશ્યોના અંતે ડ્રાઇવર ગાડીને મૂકીને ફરાર થઇ ગયો હતો. બાદમાં ગૌરક્ષકોની ટીમે આઈસર ગાડીને ઝડપી 70 જીવોને કતલખાને જતા બચાવી લીધા હતા.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છથી મોરબી બાજુએ થઈ જામનગર તરફ એક આઈસર ગાડી નંબર GJ 02 AT 8200માં અબોલ જીવોને ભરીને કતલ માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકો વોચમાં હતા ત્યારે ગાડી મોરબી બાયપાસ તરફથી આવતા તેને મોરબીની રાજપર ચોકડી પાસે રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ડ્રાઇવરે પુરઝડપે ગાડી ટંકારા તરફ ભગાડી મૂકી હતી અને પીછો કરી રહેલા ગૌરક્ષકો પર ગાડી ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ડ્રાઇવર ગાડીને ટંકારા ગામમાં આવેલ એક ખંડેર જીનમાં મૂકીને ભાગી ગયો હતો. પોલીસ પ્રશાસનના સહયોગથી ગૌરક્ષકોએ ગાડીની તપાસ કરતા તેમાંથી 70 ભેંસ વર્ગના પાડા જીવ મળી આવ્યા હતા. આ જીવોને ક્રૂરતાપૂર્વક, હલી-ચલી ન શકે તેમ બાંધેલા હતા અને તેમને કોઈ ઘાસ-પાણીની સુવિધા આપવામાં આવી નહોતી. મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને રાજકોટ ગૌરક્ષા જીવદયા ટીમે મોરબી અને ટંકારા પોલીસના સહયોગથી આ 70 જીવોને બચાવ્યા હતા. બચાવેલા જીવોને કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. ગૌરક્ષક ટીમે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગાડીના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.