Sunday - May 17, 2026

મોરબીના સામાકાંઠે ફ્લાયઓવરની કામગીરી વહેલી તકે પૂર્ણ ન થાય તો "આપ"ની આંદોલનની ચીમકી

મોરબીના સામાકાંઠે ફ્લાયઓવરની કામગીરી વહેલી તકે પૂર્ણ ન થાય તો

કોન્ટ્રાક્ટરનો 90 ટકા કામગીરી પૂર્ણ થયાનો દાવો ખોટો, હકીકતમાં સાઈટ પર 50 ટકા પણ કામગીરી ન થયાનો આક્ષેપ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મંજૂર થયેલા ફ્લાયઓવર બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્રની ઉદાસીનતાને કારણે આ પ્રોજેક્ટ અત્યારે લોકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની ગયો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આ કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.

સામાકાંઠા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ફ્લાયઓવર અંગે થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટરે 90% કામગીરી પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં સાઈટ પર 50% પણ કામગીરી થઈ નથી. આ અધૂરી કામગીરીને કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે.

ટ્રાફિક જામ: બ્રિજનું કામ ચાલતું હોવાથી રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડે છે. ધૂળ અને પ્રદૂષણની સમસ્યા ઉદભવી છે. કામમાં વિલંબને કારણે ઉડતી ધૂળને લીધે આસપાસના રહીશો અને વેપારીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. રસ્તાઓ બંધ અથવા ડાયવર્ટ હોવાથી સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે. યોગ્ય સાઈનબોર્ડ કે સુરક્ષાના અભાવે રાત્રિના સમયે અકસ્માત થવાની ભીતિ સતત રહે છે.

આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં કામ ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી આપી છે.