ટંકારા: ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમને ઉજાગર કરતો "સૃષ્ટિનું સંવર્ધન" કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જીવદયા અને પ્રકૃતિ જાળવણીના બે સુંદર પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા.
વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી:-
૨૦ માર્ચ, 'વિશ્વ ચકલી દિવસ'ના વિશેષ અવસરે લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે શાળા દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને લાકડાના ૧૦૦ જેટલા ચકલીના માળા ભેટમાં આપવામાં આવ્યા હતા.
આ માળાઓને શાળા પરિસરમાં પણ વ્યવસ્થિત રીતે લગાવવામાં આવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યને સાર્થક કરતા, શાળાના આચાર્યશ્રી હરેશભાઈ અને અન્ય શિક્ષકો દ્વારા બાળકોને ચકલીઓનું પર્યાવરણમાં મહત્વ અને તેમના નિવાસસ્થાનના રક્ષણ અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાનું પુણ્યકાર્ય:-
હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્ર માસ દરમિયાન કીડિયારું પૂરવાનું અનેરું મહત્વ રહેલું છે. આ પરંપરાને જીવંત રાખતા અને જીવદયાના ભાગરૂપે કીડીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રીમતી ગીતાબેન દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું હતું.
શાળાના બાળકોએ ભારે ઉત્સાહ સાથે શાળાના દરેક વૃક્ષના થડ પાસે આ કીડિયારું પૂર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન શ્રીમતી ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો, આચાર્યશ્રી અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી આ "સૃષ્ટિનું સંવર્ધન" કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક બન્યો હતો.