રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન.
મોરબી: મોરબીના શકત શનાળા ખાતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અને મહિલા સમન્વય દ્વારા ‘દીકરીઓ જ દેશનું ભવિષ્ય’ના સંદેશ સાથે ‘ભારત ભાગ્ય વિધાતા’ છાત્રા સંમેલન યોજાયું હતું, જેમાં 1500 જેટલી છાત્રાઓ ઉપસ્થિત રહી હતી.
સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ: પ્રથમ સત્રમાં અખિલ ભારતીય સહસંયોજિકા પુષ્પાજી જાંગીડે ડિજિટલ યુગમાં સમય વ્યવસ્થાપન, શિસ્ત અને અભ્યાસમાં એકાગ્રતા કેળવવા માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રનિર્માણમાં યુવાશક્તિ: બીજા સત્રમાં RSS પ્રચાર ટોળીના સદસ્ય મુકુલ કાનીટકરે યુવતીઓને પોતાની ક્ષમતા ઓળખી રાષ્ટ્રહિતમાં સમર્પિત થવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે દેશ તરફથી મળેલા સંસાધનોના બદલામાં સમાજને પરત આપવાની ભાવના કેળવવી અનિવાર્ય છે.
વીરાંગના પ્રદર્શની અને સંવાદ: સંમેલનમાં ભારતીય વીરાંગનાઓના શૌર્યને દર્શાવતી વિશેષ પ્રદર્શની રાખવામાં આવી હતી. અંતિમ સત્રમાં પ્રશ્નોત્તરી દ્વારા છાત્રાઓની જિજ્ઞાસાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારા અને મહિલા સમન્વયના સંયોજિકા નેહાબેન ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓમાં શિક્ષણ, સંસ્કાર, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાની ભાવના દ્રઢ કરવાનો હતો.