મોરબી : મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા શહેરમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોની વહારે આવીને ખાસ નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂટપાથ પર રહેતા 25 જેટલા લોકોને સુરક્ષિત રીતે નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ખસેડવામાં આવ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રાત્રિ પસાર કરતા લોકો માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન યુ.સી.ડી શાખા અને સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થાના સ્ટાફ દ્વારા ફૂટપાથ પર રહેતા લોકોનું સ્થળ પર જ કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. લોકોને આશ્રયગૃહમાં મળતી સુવિધાઓ વિશે માહિતગાર કરી તેમને ત્યાં રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે નિરાધાર લોકોને રહેવા, જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 25 જેટલા ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહમાં પહોંચાડવામાં આવ્યા હતા.