હેઠવાસના ગામોને એલર્ટ, ડેમમાંથી 15 MCFT પાણી છોડાશે
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજનાના 2 દરવાજા આજે ખોલવામાં આવ્યા છે. ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ 15 MCFT પાણી છોડવાની દરખાસ્તને મંજૂરી મળતા તંત્ર દ્વારા દરવાજા ખોલવામાં આવ્યા છે.
ડેમી-2 સિંચાઈ યોજનાના સેક્સન ઓફિસર તરફથી મળતી માહિતી મુજબ, જળાશયનું હાલનું લેવલ 45.20 મીટર છે અને ડેમમાં ગ્રોસ જથ્થો 233.05 MCFT ઉપલબ્ધ છે. ડેમના હેઠવાસના ચેકડેમો ભરવા માટે પાણી છોડવાની દરખાસ્ત સક્ષમ કક્ષાએ સાદર કરવામાં આવી હતી, જેને ગુજરાત સરકારના ન.જ.સં.પા.પુ. અને ક. વિભાગ, સચિવાલય ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આજે સવારે ડેમી-2 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલી 1101 ક્યુસેક પ્રવાહ (ડિસ્ચાર્જ) છોડવામાં આવી રહ્યો છે. વધુમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તેના હેઠવાસમાં આવતા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. આથી હેઠવાસના ગામો ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર અને કોયલીને એલર્ટ કરાયા છે.