મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૪ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે.
દર મહિનાની ૪ તારીખે યોજાતા આ કેમ્પની શૃંખલામાં આ ૫૪મો કેમ્પ હતો. ગત ૫૩ મહિનાઓ દરમિયાન કુલ ૧૫,૦૩૮ લોકોએ નિદાનનો લાભ લીધો હતો અને ૬,૮૪૮ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આજના ૧૯૮ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫,૨૩૬ લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું છે. આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરવામાં આવશે. દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવા, ચા-નાસ્તો, ચશ્મા અને દવા સંસ્થા દ્વારા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. આગામી કેમ્પ આવતા મહિનાની ૪ તારીખે યોજાશે. જેમાં લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.