વડાપ્રધાન મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે 7.5 લાખ વૃક્ષોનું વાવેતર થશે.
જાપાનની મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર થતા જ બે વર્ષમાં ગાઢ જંગલ બની જશે.
"નમો વડ વન" મોરબીની સુંદરતામાં મોર પીછ નું કામ કરશે.
મોરબી:- મોરબીના મચ્છુ બે ડેમ પાસે આકાર લઈ રહ્યું છે "નમો વડ વન" જે 100 એકરમાં પથરાયેલું હશે આ જંગલ એટલું વિશાળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હશે કે મોરબી તો ઠીક પણ દૂર દૂર ના લોકો પણ અહીં પ્રકૃતિને માણવા પહોંચશે હાલ આ જંગલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળના સહયોગથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ જંગલનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
જેથી કહી શકાય કે આ નવું નજરાણું હવે મોરબીને ટૂંક સમયમાં એક કુદરતના ખોળે રમતું કરી દેશે.
આ અંગે વધુ માહિતી મુજબ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળ દ્વારા જોધપર નદી સામે ડેમ બાજુના રસ્તામાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન પાસે લગભગ 100 એકર જગ્યામાં "નમો વડ વન" બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વન સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે આનું કામ 1લી ઓગસ્ટ થી શરૂ થઈ ગયું છે. અહીં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી પહેલા તબક્કામાં 7.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, આ કામ પાંચ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે વડાપ્રધાન મોદીનો તારીખ 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય તેવો 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે તે નિમિત્તે વનમાં પણ 7.5 લાખ વૃક્ષો રોપવામાં આવશે.
આ વનની બીજા તબક્કાની વાત કરીએ તો 2.5 લાખ વૃક્ષો વધુ તેમાં ઉમેરાશે જે મિયાવાકી પદ્ધતિથી આ તમામ વૃક્ષો માત્ર બે જ વર્ષમાં મહાકાય બની જશે ત્યારે આ જંગલ એકદમ ગાઢ બની જશે, અહીં ચાર તળાવ પણ બનાવવામાં આવશે એ સાથે ચાર ગજીબા પણ બનાવાશે, ઉપરાંત આ જંગલને જોઈ શકાય તે માટે સુંદર આંતરિક રસ્તાઓ પણ બનાવવામાં આવશે, અહીં હાલ 51 પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેમાં ફળ ફૂલના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે આગામી સમયમાં વધુ 20 પ્રકારના વૃક્ષો તેમાં ઉમેરાશે અહીં ફળફૂલના વૃક્ષો હોવાથી પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં પોતાનો વસવાટ કરશે.
મોરબીમાં હાલ આમ જોઈએ તો અત્યારે કોઈ પ્રાકૃતિક એવી જગ્યા ફરવા લાયક નથી પણ "નમો વડ વન" નું કામ પૂર્ણ થયા બાદ તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે જેથી મોરબીની જનતાને કુદરતી વાતાવરણમાં એક ફરવાની સુંદર મજાની જગ્યા ઉપલબ્ધ થશે, મોરબીની ભાગોળે જ આ વિશાળ કુત્રિમ જંગલ મોરબીની સુંદરતામાં મોર પીછ નું કામ કરશે, સાથોસાથ મોરબી વાસીઓનું પસંદગીનું સ્થળ પણ તે બનશે એમાં કોઈ બે મત નથી જ્યાં એકદમ પ્રાકૃતિક વાતાવરણ અને સુંદર મજાનો નજારો લોકોને માણવા મળશે.