સરકારે મીડિયા સમક્ષ જ માત્ર મૌખિક જાહેરાત કરી, પરિપત્ર જાહેર કરવા સહિતની લેખિતમાં બાંહેધરી આપી નથી : ખેડૂત સમિતિ
મોરબી: મોરબીના જેતપર ખાતે છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જે દરમિયાન ગઈકાલે સરકાર દ્વારા વળતર વધારા સહિતની જાહેરાતો કરવામાં આવી છે. સરકારની જાહેરાત બાદ પણ ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે તેવો ખેડૂત સમિતિએ નિર્ણય જાહેર કર્યો છે. ઉપરાંત તેઓની એક પણ માંગ સ્વીકારવામાં ન આવી હોવાનું પણ ખેડૂત સમિતિએ જણાવ્યું છે.
જેતપર ખેડૂત ઉપવાસ આંદોલન સમિતિએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાજ્ય સરકારના મંત્રીએ મીડિયા સમક્ષ જે માહિતી આપી છે તે માત્ર મૌખિક છે. હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર (GR) ખેડૂતોના હાથમાં આવ્યો નથી. જ્યાં સુધી પરિપત્રની નકલ ન મળે ત્યાં સુધી ઉપવાસ છાવણી રાબેતા મુજબ ચાલુ રહેશે. પરિપત્ર આવ્યા બાદ ગુજરાતના તમામ ખેડૂતો તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને ત્યારબાદ જ સાથે મળીને આગળનો નિર્ણય લેવામાં આવશે.
ખેડૂતો દ્વારા મુકવામાં આવેલી 6 માંગણીઓ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની જાહેરાતમાં તેમની માંગણીઓનો યોગ્ય રીતે સમાવેશ થતો હોય તેવું જણાતું નથી. આ અંગે તમામ ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરીને આગામી 1 થી 2 દિવસમાં નવી રણનીતિ ઘડવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે આંદોલનના ભાગરૂપે આજે એક મોટો કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં ગ્રામજનો સાથે મીટીંગ કરીને આ મોટો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જોકે, અન્ય ગામોમાં અગાઉથી નક્કી થયેલા નાના કાર્યક્રમો અને બાઇક રેલીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
ઉપવાસી નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે આંદોલન તોડવા માટે કોઈપણ ગંભીર આક્ષેપો કરી શકે છે. તેમને પોતાને પણ આંદોલન સમેટી લેવા માટે 2 કરોડ રૂપિયાની ઓફરો અને અનેક ધાક-ધમકીઓ મળી રહી છે. પરંતુ ગુજરાતના ખેડૂતો હવે જાગી ગયા છે અને કોઈપણ લોભ-લાલચ કે રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક અને ન્યાય માટે લડત અવિરત ચાલુ રાખશે.
ઉપવાસ દરમિયાન છૂપી રીતે ખાવા-પીવાના આક્ષેપો અંગે ખેડૂત સમિતિએ જણાવ્યું કે અહીં હાજર મેડિકલ ટીમ કોઈ ખાનગી નથી, પરંતુ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સત્તાવાર ટીમ છે. દર 3 થી 4 કલાકે મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. જેને પણ શંકા હોય તે અહીથી મેડિકલ રિપોર્ટની ચકાસણી કરી શકે છે.