મોરબીના આર્યતેજ કોલેજ ખાતે ધો. 12 પછી શું તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબી : મોરબીની આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજીસ ખાતે આર્યતેજ કોલેજ અને દૈનિક સમાચાર પત્ર દિવ્ય ભાસ્કર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ધો.12 પછી શું એ વિષય ઉપર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપવા માટે મોટિવેશન સ્પીકર ડો. શૈલેષભાઇ સગપરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી પોતાની કેરિયર વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.
મોટિવેશન સ્પીકર ડો. શૈલેષભાઇ સગપરિયાએ જણાવ્યું હતું કે, હવે કારકિર્દી માટે વિશાળ ક્ષેત્ર છે. અલગ અલગ વિકલ્પો છે. કારકિર્દીના અલગ અલગ વિકલ્પો હોવાથી વિદ્યાર્થીઓને કેરિયરની પસંદગી કરવામાં મુંઝવણ અનુભવાતી હોય છે. પણ ધો. 12 પછી કારકિર્દીનો મહત્વનો વણાંક આવતો હોય છે.આથી વિદ્યાર્થીઓને પોતાની કેરિયર પસંદ કરવાની હોય છે. તેથી વિદ્યાર્થીઓએ મુંઝવવાને બદલે પોતાની ભીતરમાં છુપાયેલી પ્રતિભાને ઓળખવી જોઈએ અને પોતાની પ્રતિભા કે ક્ષમતા અનુસાર જ જે તે ક્ષેત્રમાં કરિયર બનાવવા મંડી પડવું જોઇએ. કેરિયરની એક જ દિશા રાખવી જોઈએ જેથી લક્ષ્ય સુધી પહોંચવામાં મોટી મુશ્કેલી પણ આસાન લાગે. તેઓ કારકિર્દી વિષય ઉપર ઊંડું જ્ઞાન આપ્યું હતું ખાસ કરીને ધો. 12 પછી આવતા પડાવમાં સાયન્સ, આર્ટ્સ, કોમર્સમાં કેરિયર બનાવવા વિશે પણ સમજણ આપી હતી.રસપ્રદ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સલાહ આપી હતી અને સાથે માબાપને પણ સલાહ આપી હતી કે,તેમના સંતાનો ઉપર ખોટો બોજ ન નાખે. જો પોતાના સંતાન પર માબાપ બળજબરીથી પોતાની પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે બોજો નખાશે તો બાવાના બેય બગડશે. એટલે હંમેશા વિદ્યાર્થીઓને પોતાના રસના ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા દેવા પર ભાર મુક્યો હતો. ક્યાં ક્ષેત્રે ક્યાં ક્રોસ થાય તેની રસપૂર્વક માહિતી આપી હતી. આ તકે સંસ્થાના ચેરમેન પ્રશાંતભાઈ ગોરીયાએ પણ કારકિર્દી વિષયક જ્ઞાન આપ્યું હતું.