મોરબીમાં હાલ વરસાદને કારણે દરેક માર્ગોની પથારી ફરી ગઈ છે. ઠેર ઠેર માર્ગો ખાડાના અખાડામાં ફેરવાય ગયા છે. ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર પટેલનગર અને ખોડિયાર પાર્ક રહીશોએ તેમના વિસ્તારના ખરાબ રસ્તા પ્રશ્ને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો.
પટેલનગર અને ખોડિયાર પાર્ક રહીશોએ ચીફ ઓફિસરને આપેલા આવેદનમાં જણાવ્યુ હતુ કે,તેમના વિસ્તારનો રસ્તો એક વર્ષથી ખરાબ છે અને આ રસ્તો ચોમાસામાં ભારે પીડાદાયક છે. ચોમાસું તો બે મહિનાથી આવ્યું છે અને અમે બારેમાસ ખરાબ રસ્તાથી હાલાકી ભોગવીએ છીએ.પાણી, લાઈટ, વીજળી, સફાઈ સહિત તમામ વેરા ભરતા હોવા છતાં માર્ગની સ્થિતિ સુધરી નથી. એટલું જ નહીં એકપણ સારી સુવિધા નથી. જે વેરા ભરીએ એના વળતર રૂપે સુવિધા અપાતી નથી. રોડ રસ્તા ખાડા ખરબચડા અને ગારા કિચડથી ખદબદતા હોય રહીશોએ નગરપાલિકા હાય હાયના નારે બાજી કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ રોડ પ્રશ્ને ભોગવવી પડતી હાડમારીની ચીફ ઓફિસર સમક્ષ આક્રોસપૂર્ણ વ્યથા ઠાલવી હતી. આથી ચીફ ઓફિસરને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવી પડી હતી.