મોરબી જેવા ઔધોગિક શહેરમાં મોટાભાગના ક્ષેત્રે પુરુષો કરતા પણ આગળ વધી સમાજથી દેશનું ભલું કરતી મહિલાઓએ ડો.આંબેડકરને એક પિતાથી પણ આગળ વધી ઈશ્વર સમાન ગણાવ્યા
(રવિ બરાસરા) : અસંખ્ય વખત કહેવાયું છે કે હવે સ્ત્રીઓ પુરુષોની સમોવડી બની છે. પરંતુ મોરબી જેવા ઔધોગિક રીતે સમૃદ્ધ શહેરમાં હવે "સ્ત્રીઓ હવે પુરુષોની સમોવડી નહિ, પણ પુરુષોને સ્ત્રીઓની સમકક્ષ બનવા માટે સંઘર્ષ કરવો પડે એવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. કારણ કે, મોરબીનો શિક્ષિતોનો સરેરાશ રેશિયો જોઈએ તો પુરુષો કરતા સ્ત્રીઓ સૌથી વધુ શિક્ષિત છે. શિક્ષણથી આગળ આવીને જ્ઞાતિ, જાતી કે ધર્મના ભેદભાવ વગર સંસ્થાઓ ચલાવી તેમજ વિવિધ સેવાપ્રવૃત્તિઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી સમાજથી દેશનું ભલું કરતી મોરબીની ઘણી શિક્ષિત નારીઓ દ્રઢપણે માની રહી છે કે આજે તેઓ શિક્ષિત, સુખી સંપન્ન અને સુરક્ષિત તેમજ દરેક ક્ષેત્રે પુરુષો કરતા આગળ વધી સમાજ અને કુટુંબમાં ગરિમાસભર જીવન જીવે છે. તે માત્રને માત્ર સવિધાનના નિર્માતા ડો. બાબા સાહેબ આંબેડકરએ નારીઓને આપેલા વિશેષ અધિકારોને આધીન છે. જો ડો. આંબેડકરે બંધારણમાં ખાસ કન્યા કેળવણીની જોગવાઈ, પંચાયતથી માંડીને સંસદ સુધી સ્ત્રીને સમાન દરજ્જો સ્ત્રી આનામત,ઘરેલુ હિંસા સહિતના વિશેષ અધિકારો ન આપ્યા હોત તો આજે પણ નારીનું ભાવિ અંધકારમય હોત.
એક ચોક્કસ વર્ગના નહિ પણ નારી મુક્તિ દાતા
"હું કોઈ પણ સમાજની પ્રગતિ એ સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે તેનાથી માપું છું." આ શબ્દો છે , ડો .આંબેડકરના. જેમણે હિન્દુ કોડ બિલ પાસ કર્યું જે આપણા દેશની સ્ત્રીઓના હક માટે એક ક્રાંતિકારી પગલું હતું, તેમના દ્વારા અપાયેલી 50% અનામત અને સમાનતાના અધિકારને કારણે જ આજે સ્ત્રીઓ ગ્રામ પંચાયતથી લઈ સંસદ સુધી પુરુષ સમકક્ષ નેતૃત્વ કરી રહી છે.જો તેમણે કાયદાકીય રક્ષણ અને શિક્ષણની પાંખો ન આપી હોત, તો પુરુષપ્રધાન માનસિકતા વચ્ચે સ્ત્રી આજે પણ ઘરની ચાર દીવાલોમાં રક્ષણ વિહોણી હોત. ઘરેલું હિંસા વિરોધી કાયદા અને સંપત્તિના અધિકાર વિશે અમે કોલેજની યુવતીઓ ને હંમેશા અવગત કરતા રહીએ છીએ. એટલે ડો. આંબેડકરને એક ચોક્કસ વર્ગના ઉધારક તરીકે જોવા યોગ્ય નથી. કારણ કે તેઓ સમગ્ર નારી જાતિના ઉધારક છે.
-આરતીબેન પટેલ, મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ
શિક્ષણ દ્વારા જ મહિલા સશક્તિકરણ થઈ શકે
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની દ્રષ્ટિએ શિક્ષણ દ્વારા મહિલા સશક્તિકરણ થઈ શકે. ડોક્ટર આંબેડકરે નારીઓને કહ્યું હતું કે, તમારી જાતને નીચી ના માનો,જૂના કુંરીવાજો અને નારી જાતિના વિકાસને આવરોધતા તમામ બંધનો તોડી નાખો, તમે ઘરના લક્ષ્મી છો. તેઓએ બંધારણમાં નારી જાતિને વિશેષ અધિકારીઓ આપવાની સાથે દરેક નારીને ગૌરવ અને ગરિમાસભર જીવન જીવે તેવા પ્રયત્નો જીવનપર્યત કર્યા હતા. આથી આજે મહિલાઓનું દરેક ક્ષેત્રમાં યોગદાન પુરુષો કરતાં પણ વધારે છે. મહિલાઓને જે અધિકારો મળ્યા છે અને નારીઓ શિક્ષિત, સુખી, સમૃદ્ધ તેમજ સુરક્ષિત છે તે માત્રને માત્ર ડો. આંબેડકરજીની દેન છે. તે બાબતનો ઇતિહાસ પણ સાક્ષી છે. જેથી મારા જેવા સેંકડો મહિલાઓ શિક્ષિત થઈ વર્કિંગ વુમન બનીને એકદમ સુરક્ષિત જીવન જીવી શકીએ છીએ.
-મીનાક્ષીબેન શાહ, વર્કિંગ વુમન ( ઝૂંપટપટ્ટીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ)
ડૉ.બાબા સાહેબ આંબેડકરે ભારતના સંવિધાનમાં સ્ત્રીઓને સમાન અધિકાર, સ્વતંત્રતા અને સન્માનનો મજબૂત આધાર આપ્યો છે. તેમણે સ્ત્રીઓને માત્ર કાયદાકીય સુરક્ષા જ નહીં, પણ શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં આગળ વધવા માટે તકો ઊભી કરી. સ્થાનિક સ્વરાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી સ્ત્રી અનામત જેવી વ્યવસ્થાઓએ સ્ત્રીઓને નિર્ણય લેવાના મંચ સુધી પહોંચાડ્યાં છે. ઘરેલુ હિંસા વિરોધી કાયદાઓ દ્વારા સ્ત્રીઓની સુરક્ષા અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. જો આ અધિકારો ન હોત, તો આજની સ્ત્રી હજુ પણ સમાજમાં પાછળ રહી હોત. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે, જે આ બંધારણીય અધિકારોનું પરિણામ છે. હું પણ આ અધિકારોના આધારે આત્મવિશ્વાસ સાથે સમાજમાં સક્રિય રહી સ્ત્રીત્વની ગરિમા જાળવવાનો પ્રયત્ન કરી રહી છું.
રંજનાબેન સારડા, ફાઉન્ડર મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી
કન્યા કેળવણીથી મહિલાઓ ઉતરોતર પોતાના અધિકારોથી જાગૃત બની
ડો.બી.આર.આંબેડકરએ સ્ત્રીઓને પુરુષ જેટલા અધિકારો આપી સમાજમાં મોટો ફેરફાર લાવ્યો છે. આ અધિકારોના કારણે આજે સામાન્ય સ્ત્રી પણ ઘર બહાર આવીને પોતાની રીતે કંઈક સારું કામ કરી શકે છે. પહેલા સ્ત્રીઓ ઘણી મર્યાદામાં બંધ હતી, પરંતુ હવે કાયદાના આધારથી તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. આ જ હિંમત અને સ્વતંત્રતાના કારણે હું પણ રોજ જરૂરિયાતમંદ લોકોને ભોજન આપી સમાજ સેવા કરી શકું છું. છતાં આજેય ઘણા સ્થળે સ્ત્રીઓને પોતાના અધિકારો માટે લડવું પડે છે, એટલે જ જાગૃતિ જરૂરી છે. ડો. આંબેડકરના વિચારો માત્ર કાયદા સુધી નહીં, પરંતુ દરેક સ્ત્રીના જીવનમાં ઉતરવા જોઈએ. સ્ત્રી સશક્તિકરણ માટે આપણે બધા સાથે મળીને આગળ વધવું જરૂરી છે.
કંચનબેન અઘારા, ફ્રી ટિફિન સેવા, સ્વચ્છતા અભિયાનના પ્રણેતા
બાબા સાહેબ દેશની દરેક સ્ત્રીઓ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન
બાબા સાહેબ ભારત દેશની દરેક સ્ત્રીઓ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન ગણાય કારણકે તેમણે સૂચવેલા સંવિધાનથી જ સ્ત્રીઓ શિક્ષા મેળવવા માટે સક્ષમ બની ..અને કહેવાય છે ને કે વિદ્યા થી વિનય, વિનયથી પાત્રતા, પાત્રતાથી ધન, ધન થી ધર્મ અને ધર્મથી સુખ ...આ બધું એક શિક્ષિત નારી કે જે પોતાના સુવ્યવસ્થિત ઘર દ્વારા એક સુદ્રઢ સમાજની રચના કરી શકે છે. એટલે જ આજે કદાચ સ્વર્ગ કહી શકાય તેવું બધા સુખોથી ભરપૂર વિશ્વની રચના સંવિધાનની આ જોગવાઈને કારણે થઈ છે .સ્ત્રીને સમાન અધિકાર અને વિચારોની સ્વતંત્રતાને કારણે આજે હું સામાજિક ક્ષેત્રે મારા શહેરને, દેશને ઉપયોગી થઈ શકે તેવા કાર્યો કરી શકું છું તેનો યશ બાબાસાહેબને જાય છે. એટલે મારા જેવી દેશની સમગ્ર નારી જાતિ આ મહામાનવનું ઋણ ક્યારેય ચૂકવી નહિ શકે
શોભનાબા સહદેવસિંહ ઝાલા, ફાઉન્ડર -મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ
નારીઓએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજવો પડશે
ડો.બાબા સાહેબે કોઈપણ ભેદભાવ વગર દેશની સમગ્ર નારી જાતિના ઉતકર્ષ માટે કાયદા ઘડ્યા અને એમણે જે નારી જાતિને ગરિમાસભર જીવન જીવવાની કરેલી પરિકલ્પના સાકાર થઈ છે ખરી ? નારીઓ શિક્ષિત થઈને દરેક ક્ષેત્રે આગળ છે. પણ ક્યારેય નાના મોટા અહમને કારણે નારી જ નારીની પ્રગતિ અવરોધે છે. તેમજ હજુ પણ પુરુષ પ્રધાન સમાજમાં ઘણીવાર દરેક ક્ષેત્રે નારીનું શોષણ અને હિંસાનો પણ સામનો કરવો પડે છે. તો ક્યાંક મહિલાઓથી પતિઓનો મોટો વર્ગ પીડિત છે. ઘરમાં સાસુ, વહુ, દેરાણી, જેઠાણી વચ્ચે કજિયા કંકાસ થાય એવા ઘરેલુ હિંસાના બનાવોમાં ખુદ મહિલાઓ જવાબદાર હોય છે. સમાજમાં વૃદ્ધાશ્રમ વધ્યા હોય એ પણ મહિલાઓને કારણે જ છે. હવે વૈભવી ઘરોમાં તો ઠીક મધ્યમવર્ગીય ઘરોમાં પણ કીટી પાર્ટીનું ચલણ વધ્યું છે. એટલે એકંદરે મહિલાઓમાં સ્વતંત્રતાની આડમાં સ્વચ્છંદ બની ગઈ છે. મારા ભરયુવાનીમાં પતિનું નિધન થયું. આમ છતાં પણ મારા સાસુ સસરાને માતાપિતા સમજીને તેમની એક પુત્રની જેમ દેખભાળ કરું છે. એટલે જ હું ગર્વથી કહું છું કે, મારા સાસુ સસરા મારી સાથે નહિ પણ હું એમની સાથે દીકરી બનીને રહું છું. સાથે બને એટલી સમાજસેવા પણ કરું છું.
માધવીબેન સવાડિયા ( હસ્તકલાથી મહિલાઓને સ્વનિર્ભર બનાવતા પ્રણેતા)
જાતિવાદી ભેદભાવનો અંત લાવી તમામ નારી જાતિને સન્માનજનક સ્થાન અપાવ્યું
સ્ત્રી સશક્તિકરણ માટે ડૉ. આંબેડકરના મુખ્ય કાર્યોમાં મને સૌથી પ્રેરણા આપતું કાર્ય એ કે મહિલા શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને તેમણે સક્રિય રીતે કામ કરવા (Employment) માટે પ્રોત્સાહિત કરી હતી. તેમણે કામકાજી મહિલાઓ માટે 'માતૃત્વ લાભ એક્ટ' (Mines Maternity Benefit Act) અને મહિલા કામદાર કલ્યાણ નિધિ જેવા કાયદા ઘડવામાં ભૂમિકા ભજવી હતી, જે તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે.તેમણે જાતિવાદી ભેદભાવનો અંત લાવીને તમામ નારી જાતિને સન્માનજનક સ્થાન અપાવવા માટે જે ભગીરથ કાર્ય કર્યું હતું.એ કાર્ય કદાચ કોઈ નહિ કરી શકે.
- ડો. નિધિબેન સુરાણી- મનોચિકિત્સક