Thursday - Apr 16, 2026

આધુનિક ભારતના ઘડવૈયા અને સામાજિક ન્યાયના સૂર્ય: ડૉ. બાબાસાહેબ આંબેડકર

આધુનિક ભારતના ઘડવૈયા અને સામાજિક ન્યાયના સૂર્ય: ડૉ. બાબાસાહેબ આંબેડકર

ઈતિહાસ સાક્ષી છે કે, મહાપુરુષો ક્યારેય પરિસ્થિતિઓના દાસ નથી હોતા, તેઓ તો પરિસ્થિતિઓને પોતાની જિદ્દ અને જ્ઞાનથી બદલવાનું સામર્થ્ય રાખે છે. ભારતીય ઇતિહાસના ફલક પર ડૉ. બાબાસાહેબ આંબેડકર એક એવું તેજસ્વી નામ છે, જેમણે માત્ર બંધારણ જ નથી ઘડ્યું, પણ કરોડો વંચિતોના આત્મસન્માનનું નવું આકાશ પણ કંડાર્યું છે.

જે રીતે મહાભારતમાં કર્ણ અને એકલવ્યને તેમની જાતિના કારણે અન્યાયનો ભોગ બનવું પડ્યું હતું, એ જ અન્યાયની આગમાં ડૉ. આંબેડકરનું બાળપણ અને યુવાની શેકાઈ હતી. પરંતુ, તેમણે અન્યાય સામે હથિયાર ઉપાડવાને બદલે 'શિક્ષણ' ને પોતાનું શસ્ત્ર બનાવ્યું. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી જ્ઞાન મેળવીને જ્યારે તેઓ ભારત પરત ફર્યા, ત્યારે તેમનો ઉદ્દેશ્ય માત્ર વ્યક્તિગત કારકિર્દી બનાવવાનો નહીં, પણ સમાજની પાયાની અસમાનતાને જડમૂળથી ઉખેડી નાખવાનો હતો.

ભારત જેવા વિવિધતા ધરાવતા દેશને એક સૂત્રમાં બાંધવો એ હિમાલય ચડવા જેવું કપરું કાર્ય હતું. ડૉ. બાબાસાહેબની પ્રખર બુદ્ધિપ્રતિભા અને દ્રઢતાને કારણે આપણને એવું બંધારણ મળ્યું જે જ્ઞાતિ, જાતિ કે લિંગના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે તેમણે મહિલાઓના હકો (હિન્દુ કોડ બિલ) અને મજદૂરોના કલ્યાણ માટે જે પાયા નાખ્યા, તે આજે પણ ભારતના લોકતંત્રના મજબૂત સ્તંભો છે.

આધુનિક ભારતના ઘડવૈયા અને સામાજિક ન્યાયના સૂર્ય: ડૉ. બાબાસાહેબ આંબેડકર

બાબાસાહેબનો મંત્ર હતો – "અન્યાય ચૂપચાપ સહન કરે તે પશુ અને અન્યાયને ખતમ કરવા મેદાને પડે તે માનવ." તેમણે આજીવન અસ્પૃશ્યતાના કલંક સામે લડત આપી. તેમનો સંઘર્ષ કોઈ જ્ઞાતિ સામે નહીં, પણ જ્ઞાતિવાદની માનસિકતા સામે હતો. તેમના વ્યક્તિત્વમાં ઈમાનદારી, નિયમિતતા અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ નિષ્ઠાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે.
આજનો દિવસ: માત્ર ઉજવણી નહીં,

આજે જ્યારે આપણે તેમની જન્મજયંતિને 'સમાનતાના દિવસ' તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આપણે તેમના સપનાનું ભારત બનાવી શક્યા છીએ? માત્ર પ્રતિમાઓને ફૂલહાર ચડાવવાથી કામ નહીં ચાલે, તેમના વિચારોને આચરણમાં ઉતારવા પડશે. યુવા પેઢીએ તેમના જીવનમાંથી 'સ્વધર્મ' અને 'સ્વાભિમાન' શીખવાની જરૂર છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા દાયકાઓ પહેલા હતા. લોકશાહીના આ પર્વ પર આપણે સૌ સાથે મળીને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં માનવીની ઓળખ તેની જાતિથી નહીં પણ તેના ગુણો અને તેની માનવતાથી થાય. એ જ આ મહામાનવને સાચી અંજલિ હશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર એ માત્ર એક વ્યક્તિ નથી, પણ પરિવર્તનનું એક આખું આંદોલન છે. આવો, આ મહામાનવના પદચિન્હો પર ચાલીને એક સશક્ત, સમાન અને શિક્ષિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.

ડૉ. બાબાસાહેબ આંબેડકર અમર રહો!
જય ભીમ! જય હિન્દ!

- દેવેન રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી)