મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળે પૂર્વ તલાટીએ સરકારના પરિપત્ર મુજબ કામ કર્યાનું કહી તેમને નિર્દોષ ગણાવ્યા
મોરબી : માળીયા મી. તાલુકાના સરવડ ગામે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાના કેસમાં આજે સીઆઇડીએ ગામના પૂર્વ તલાટી કમ મંત્રીની ધરપકડ કરતા આ પૂર્વ તલાટીની ધરપકડનો મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળએ વિરોધ કર્યો છે અને પૂર્વ તલાટીએ સરકારના પરિપત્ર મુજબ કામ કર્યું હોવાનું જણાવી તેમણે નિર્દોષ ગણાવીને ડીડીઓ, એસપી અને કલેકટરને આવેદન આપ્યું છે.
આવેદનમાં જણાવાયુ છે કે, માળીયા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી ભરતકુમાર દેવજીભાઈ ખોખરની સીઆઇડીએ વારસાઇ આંબા બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. જો કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સોગંદનામુ તથા પંચોની ખરાઈ કરી વારસાઈ આંબો કાઢી આપવામાં આવશે. જે પરિપત્રને આધિન પૂર્વ તલાટી કમ મંત્રીએ વારસાઈ આંબો તૈયાર કર્યો છે. પરંતુ પોલીસ દ્વારા અરજદારના બદલે તલાટી કમ મંત્રીને દોષી ઠેરવ્યા તે યોગ્ય નથી.
રાજ્ય સરકારના જાહેર હોદા ધરાવનાર જાહેર સેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા બાબતે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના પરિપત્રમાં જે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવાની હોય તેની સંપુર્ણ રીતે પુર્ણ ચકાસણી કરવાની રહે છે. તેવુ સ્પસ્ટ જણાવેલ છે. તેમ છતા તપાનીસ પોલીસ એજન્સીએ આ બાબતે કોઇ દરકાર લીધી નથી. તેવુ સ્પસ્ટ જણાય આવેલ છે તેમજ સરકારના ગૃહ વિભાગના પરિપત્ર વિરૂધ્ધની કામગીરી કરી છે તેવુ પણ સ્પસ્ટ જણાય આવેલ છે.