મોરબી : મોરબીના વીસીપરા મેઈન રોડ ઉપર પીજીવીસીએલ તંત્રની જોખમી બેદરકારી સામે આવી છે. જેમાં વીસીપરા મેઈન રોડ ઉપર પીજીવીસીએલનો ઇલેક્ટ્રિક થાંભલો આવેલો હોય પણ આ થાંભલાના એકદમ નીચે વીજ સબ સ્ટેશન એકદમ ખુલ્લું છે. જેમાં જીવતા ફ્યુઝના વાયરો હોય અને ઉપરથી હાલ વરસાદના કારણે રોડ ઉપર સરોવરની જેમ પાણી ભરેલા હોવાથી લોકોને વિજપોલ પાસેથી ચાલવું પડે છે.
ખાસ કરીને અહીં સ્કૂલ આવેલી હોવાથી સ્કૂલના બાળકો આ જોખમી વિજપોલથી એકદમ નજીકથી પસાર થતા હોય આ બાળકોના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. આ ઈલેક્ટ્રીક થાંભલા પાસે ગ્રિલ નથી અને ઈલેક્ટ્રીક થાંભલા નીચે જ રોડ ઉપર પાણી ભરેલા હોય દુર્ભાગ્યે કદાચ ન કરે નારાયણ ને ઈલેક્ટ્રીક થાંભલા નીચે ખુલ્લા સબ સ્ટેશનને પાણી અડી જાય તો મોટી દુર્ઘટના થવાની ભીતિ છે. પીજીવીસીએલના પાપે બાળકો સહિતના વાહનચાલકો અને રાહદારીઓની સલામતી રામભરોસે મુકાય છે. આથી કોઈ અમંગળ ઘટના બને તે પહેલાં વિજતંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.