લારી ગલ્લા ચલાવતા સામાન્ય ધંધાર્થીઓ માટે અન્ય સ્થળે ધંધા રોજગારની વ્યવસ્થા કર્યાનો દાવો
મોરબી : મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર વાહન વ્યવહાર સુગમ બનાવવાના હેતુથી ગેરકાયદેસર દબાણો હટાવવાની સઘન કામગીરી કરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા નહેરુ ગેટ, જુના બસ સ્ટેન્ડ, પંચાસર રોડ, વાવડી રોડ, ગેંડા સર્કલ અને નટરાજ ફાટક જેવા વિસ્તારોમાં કાર્યવાહી કરી અંદાજે 50 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મોરબીના જાહેર માર્ગો પર અડચણ ઉભી કરતા વેપારીઓ પાસેથી અંદાજિત રૂ. 3000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ભક્તિનગર સર્કલ અને લીલાપર ગામ પાસેથી 6 હોર્ડિંગ અને 55 કીઓસ્ક હટાવવામાં આવ્યા હતા. મનપા દ્વારા વન વીક વન રોડ' હેઠળ રાજકોટ-મોરબી હાઈવે પર આરટીઓ ઓફિસથી ઓરપેટ સુધીના માર્ગ પર જેસીબીની મદદથી 45 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. આ વિસ્તારના મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવ્યા હતા, જ્યારે બાકીના દબાણો તંત્ર દ્વારા દૂર કરી 30 મીટરની પહોળાઈનો સમગ્ર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો જેથી એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી વાહનોને અવરજવરમાં સરળતા રહે.
લારી-ગલ્લા ચલાવતા ફેરિયાઓ માટે શહેરના વાવડી રોડ પર કબીરધામ આશ્રમ પાસે નવું હોકર્સ ઝોન કાર્યરત કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મનપાના એસ્ટેટ શાખાના અધિકારીઓએ આ વિસ્તારના ફેરિયાઓને મનપાની મંજૂરી મેળવી આ નિયત જગ્યા પર ધંધો-રોજગાર કરવા માટે સમજ આપી હતી.