યુરીયા ખાતર સાથે નેનો ખાતર અને અન્ય દવા લેવા ફરજ પડાતા હોવાની કોંગ્રેસની રજૂઆત, ખાતરનો જથ્થો ઔદ્યોગિક એકમોને આપી દેવાતો હોવાનો પણ આક્ષેપ
મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતોને યુરીયા ખાતરની સાથે ધરાર નેનો ખાતર તથા અન્ય દવાઓ પધરાવી દેવાનું મોટું કારાસ્તાન ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને જો ખેડૂતો યુરીયા ખાતર સાથે આપવામાં આવતા નેનો ખાતર તથા અન્ય દવા લેવાની મનાઈ કરે તો ખેડૂતોને યુરીયા ખાતર આપવામાં આવતું નથી. આથી ધરાર ખેડૂતોને આ રીતે લૂંટાવું પડતું હોવાના આક્ષેપ સાથે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ નાયબ ખેતી નિયામકને લેખિત રજૂઆત કરી છે.
ખેડૂતો યુરીયા ખાતર લેવા જાય ત્યારે તેઓને કહેવામાં આવે છે કે, ઉચ્ચ કક્ષાએથી યુરીયા ખાતર સાથે ફરજિયાત નેનો ખાતર તથા દવાઓ આપવાનું જણાવાયું છે. જો ખેડૂતો નેનો ખાતર તથા અન્ય દવા લેવાની ના પાડે તો યુરીયા ખાતર આપવું નહીં. તેમ કહીને ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. તો શું ખેતીવાડી કચેરી તરફથી આવું દબાણ કરવામાં આવે છે કે કેમ ? સાથે જ ખેડૂતોને આપવામાં આવતું ખાતર ઔદ્યોગિક એકમોમાં મોકલી આપવામાં આવતું હોવાની પણ જાણકારી મળી હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે. તેથી ઔદ્યોગિક એકમોમાં મોટા જથ્થામાં આપવામાં આવતું ખાતર અટકાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને સમયાંતરે ખાતર પૂરું પાડવામાં આવે અને તેની સાથે નેનો ખાતર અને દવાઓ આપવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. જો આમ કરવામાં નહીં આવે તો ના છુટકે ખેડૂતોના સાથે રાખી આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.