મોરબી : મોરબીમાં આજે 7 ઓગસ્ટ 2025 ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ . બજરંગ દળ દ્વારા આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે કતલખાને લઈ જવાઈ રહેલા 21 પાડાને બચાવી લેવામાં આવ્યા હતા.
મોરબી ગૌરક્ષક દળને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી બે બોલેરો પીકઅપ ગાડી (GJ 12 CT 0062 અને GJ 12 BZ 4341) માં ગેરકાયદે પાડા ભરીને કતલ કરવા માટે જામનગર લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી. કચ્છ બાજુથી આવી રહેલી બંને ગાડીઓનો માળિયાથી પીછો કરીને જામનગર તાલુકાના જોડિયા ગામ નજીક ભાદરા પાટિયા પાસે રોકવામાં આવી હતી. ગાડીઓની તલાશી લેતા તેમાંથી 21 પાડા ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા મળી આવ્યા હતા, જેથી તેઓ હલી-ચલી પણ શકતા ન હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પાડા કચ્છના કનૈયા બે ગામમાંથી ભરીને જામનગર કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા. મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જોડિયા પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ જીવોને બચાવી લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને જોડિયા પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ પાડાને રાજકોટ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા.