Sunday - Jul 05, 2026

વાંકાનેરના લાલપર ગામમાં કેનાલની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે

વાંકાનેરના લાલપર ગામમાં કેનાલની સુવિધા ન હોવાથી ખેતી ભગવાન ભરોસે

વાંકાનેરના લાલપર ગામે વર્ષોથી સિંચાઈની સુવિધા ન હોવાથી ખેતીને હરીભરી રાખવા માટે સારા વરસાદ ઉપર જ નિર્ભર રહેવું પડે છે. તેથી ખેડૂતોની આજીવિકા રામભરોસે થઈ ગઈ છે. ગામની બાજુમાં કેનાલ નીકળતી ન હોવાથી ખેતી સૂકી ભઠ રહે છે. જો કે જ્યારે માંગ્યા મેહ વરસે ત્યારે આખું વર્ષ ખેડૂતો માટે ફળદાયી નીવડે છે. પણ જ્યારે જ્યારે વરસાદ ઓછો પડે પાક નિષ્ફળ જાય છે. આથી ખેતીને હરીભરી રાખીને ખેડૂતો ત્રણેય સિઝનનો પાક મેળવી શકે એ માટે કેનાલમાંથી સિંચાઈની સુવિધા આપવાની માંગ કરી છે.

વાંકાનેર તાલુકાના લાલપર ગામના સરપંચ અમીનાબેન ખોરજીયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખતનું અને આશરે 300 વર્ષ જૂનું ગામ હોય આ ગામમાં હાલ 700ની વસ્તી હોય આ વસ્તી મોટાભાગે ખેતી પર નિર્ભર હોય પણ ખાટલે મોટી ખોટ સિંચાઇની છે. સિંચાઇની સવલત ન હોવાથી ગામની બધી જ ખેતી વરસાદ આધારિત છે. ગામા આરોગ્ય કેન્દ્ર ન હોય બીમારીની સારવાર લેવા લોકોને બીજા ગામે દૂર જવું પડે છે. આ ગામમાં 1થી8 ધોરણની સ્કૂલ, આંગણવાડી, અંદરના રોડ રસ્તા 80 ટકા, ભૂગર્ભ ગટર 100 ટકા કમ્પલેટ તેમજ કચરાના નિકાલની જવાબદારી ગ્રામ પંચાયત જ નિભાવે છે.આ ગામને જોડતા લિંબાળા, રતીગઢ ગારીયા  કેરાળા અને રાજાવડલા ગામના રસ્તા કાચા હોવાથી પાકા કરવાની માંગ છે.આ  ગામમાં ઘણા સમયથી પીવાના પાણીની કોઈ તકલીફ નથી. ગામને પીવાના પાણીનું મોટું સુખ અને નાના માં સિંચાઇની કમી કોરી ખાય છે.