સમગ્ર વિશ્વ ઉપર ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોળાઈ રહ્યો છે.તેનું કારણ વૃક્ષોની ઘટતી સંખ્યા છે.તેથી પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂર છે.આથી મોરબીના ધરમપુર (ટીબંડી) ગામે સમાજવાડીમાં ડોકટર દંપતીએ પ્રભુતામાં પગલાં માંડતા પહેલા વૃક્ષારોપણ કરીને પ્રેરણાદાયી પહેલ કરી હતી.
મોરબીના ધરમપુર (ટીબંડી) ગામે સમાજવાડીમાં આજે ડો. ધરા દેવજીભાઈ માકાસણાના ડો. આશિષ રાજેશભાઈ સવસાણી સાથે લગ્ન યોજાયા હતા.પરંતુ કન્યાના પિતાજીના મિત્ર મનસુખભાઇ ધરમશીભાઈ ગડારાને વિચાર આવ્યો હતો કે લગ્ન પહેલા આ ડોકટર દંપતી વૃક્ષારોપણ કરે અને વૃક્ષોની મહતા સમજે અને આ પ્રકારનો સમાજમાં મેસેજ જાય તે માટે ડોકટર દંપતીએ લગ્ન પહેલા પાંચ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.આ ડોકટર દંપતીએ જણાવ્યું હતું કે, વૃક્ષોનું મહત્વ અમે સમજીએ છીએ. એટલે જ લગ્ન પહેલા વડીલની ઈચ્છા મુજબ વૃક્ષારોપણ કર્યું હતું. અમારી જેમ બધા લગ્ન પહેલા કે પછી વૃક્ષો વાવીને તેનું જતન કરશે તો પ્રકૃતિનું જતન થશે અને ચારેકોર લીલીછમ હરયાળી થવાથી ક્યારેય પણ ગ્લોબલ વોર્મિંગનો ખતરો નહિ રહે.